ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રના અંતિમ દિવસે આજે ગૃહમાં અતરાંકિત પ્રશ્નો ચોંકાવનારી વિગતો સામે આવી છે. જે અંતર્ગત આજે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો છાપવા માટે કરવામાં આવતી કાગળની ખરીદીમાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ ઉઠી છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા પૂછવામાં આવેલા અતારાંકિત પ્રશ્ન પૂછ્યો હતો.
જેના જવાબમાં શિક્ષણ મંત્રી વિધાનસભા ગૃહમાં માહિતી રજૂ કરતાં જણાવ્યું હતું કે, ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવ્યું હતું કે શું પાઠ્યપુસ્તક છાપવા માટે હલકી ગુણવત્તાના કાગળ ખરીદીને ગેરરીતિ આચરવામાં આવી છે અને શું સરકાર આ બાબતે વાકેફ છે?
આ પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર્યું છે કે, કાગળો ખરીદવાની ગેરરીતિની ફરિયાદ બાબતે હકીકતલક્ષી અહેવાલ સરકારના ધ્યાન પર મૂકવામાં આવ્યો છે. જે મુજબ મંડળ દ્વારા વિવિધ ખાનગી પેપર મિલો પાસેથી મોટા પ્રમાણમાં કાગળની ખરીદી કરવામાં આવી છે. જેમાં વર્ષ 2023-24માં મંગલ પેપર મિલ પ્રા. લી., વિશાલ પેપર્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી. અને કાત્યાયની પેપર મિલ પાસેથી કુલ 25000 મેટ્રિક ટન કાગળની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદી પ્રતિ મેટ્રિક ટન 3,58,800/- ના ભાવે કરવામાં આવી હતી. ઉપરાંત વર્ષ 2024-25 માલુ પેપર મિલ લિમિટેડ અને ચક્કા પેપર લિમિટેડ પાસેથી 20000 મેટ્રિક ટન કાગળની ખરીદી કરવામાં આવી હતી. જેનો ભાવ પ્રતિ મેટ્રિક ટન 3,53,500/- હતો.
જો કે પ્રિન્ટિંગ પ્રેસોને કરોડોની ચુકવણી અંતર્ગત વિગતો અનુસાર કાગળની ખરીદી ઉપરાંત પાઠ્યપુસ્તકોના છાપકામ માટે પણ સરકારે મોટી રકમ ખર્ચી છે. વર્ષ 2023-24માં અંદાજે 33,24,07,427/- ચૂકવવામાં આવ્યા હતી. જ્યારે વર્ષ 2024-25માં અંદાજે 30,05,53,864/-ની ચુકવણી કરવામાં આવી. હાલમાં પાઠ્યપુસ્તક મંડળમાં કુલ 38 પ્રિન્ટિંગ પ્રેસો એમ્પેનલ થયેલ છે અને કાર્યરત છે. રાજ્યના શિક્ષણ વિભાગ હસ્તકના આ મંડળમાં કાગળની ખરીદીમાં થયેલી કથિત ગેરરીતિનો અહેવાલ સરકાર સુધી પહોંચતા હવે આ મામલે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની નજર રહેશે.
