સંસદમાં સરકારે કિંમતી ધાતુના ભાવવધારાના કારણો આપી જણાવ્યું, સપ્ટેમ્બર સુધીમાં સોનાની 26.51 અબજ ડોલરની અને 3.21 અબજ ડોલર ચાંદીની આયાત
સરકારે સ્પષ્ટતા કરી છે કે તાજેતરના મહિનાઓમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો મુખ્યત્વે વૈશ્વિક ભૂરાજકીય તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે છે, જેના કારણે રોકાણકારો વધુને વધુ સુરક્ષિત રોકાણ વિકલ્પો શોધી રહ્યા છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતમાં સોના અને ચાંદીના ભાવ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, યુએસ ડોલર સામે રૂૂપિયાના વિનિમય દર અને લાગુ કર અને જકાત પર આધાર રાખે છે.
તેમણે જણાવ્યું હતું કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિઓ, વૈશ્વિક મંદીની આશંકા અથવા વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતા વધે છે ત્યારે રોકાણકારો તેમના ભંડોળને શેરબજાર જેવા જોખમી સાધનોમાંથી સોના અને ચાંદી જેવી સુરક્ષિત સંપત્તિ તરફ ખસેડે છે, જેના કારણે તેના ભાવમાં વધારો થાય છે. વધુમાં, વિશ્વભરમાં કેન્દ્રીય બેંકો અને મુખ્ય નાણાકીય સંસ્થાઓ પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેનાથી માંગ વધુ મજબૂત બની રહી છે.
મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે આ વર્ષે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હોવા છતાં તેની અસર તમામ રાજ્યો અને સમાજના તમામ વર્ગોમાં એકસરખી નથી, કારણ કે આ ધાતુઓનું સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક મહત્વ પ્રદેશો અને સમુદાયોમાં બદલાય છે. તેમણે જણાવ્યું હતું કે સોનું અને ચાંદી માત્ર ગ્રાહક ઉપયોગની વસ્તુ નથી, પરંતુ મહત્વપૂર્ણ રોકાણ સાધનો પણ છે અને અનિશ્ચિત સમયમાં સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે.
કિંમતોમાં વધારો એવા પરિવારોના સંપત્તિ મૂલ્યમાં વધારો કરે છે જે પહેલાથી જ સોના અને ચાંદી ધરાવે છે, જેની ઘરેલુ સંપત્તિ પર સકારાત્મક અસર પડે છે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે કિંમતી ધાતુના ભાવ સંપૂર્ણપણે બજાર-આધારિત હોય છે અને સરકાર કિંમત નિર્ધારણમાં કોઈ સીધી ભૂમિકા ભજવતી નથી.
આંકડા ટાંકીને મંત્રીએ જણાવ્યું હતું કે ભારતે સપ્ટેમ્બર સુધીમાં ચાલુ નાણાકીય વર્ષમાં આશરે 26.51 અરબ ડોલર સોનું અને 3.21 અરબ ડોલર ચાંદી આયાત કર્યું છે, જે આ ધાતુઓની મજબૂત સ્થાનિક માંગને પ્રતિબિંબિત કરે છે.
