પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આવતીકાલે ગાંધી મ્યુઝિયમમાં બાળકોને વિનામૂલ્યે પ્રવેશ

  રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને…

 

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે, મોહનદાસ ગાંધી વિદ્યાલય (આલ્ફ્રેડ હાઇસ્કુલ)માં મહાત્મા ગાંધીના જીવનના આદર્શો, જીવનચરિત્રો દર્શાવતું મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે જેનું લોકાર્પણ તા.30/09/2018નાં રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીનાં વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. નાના બાળકો ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા ઉમદા હેતુથી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત માટે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ માટે વર્ષ 2023-24ના બજેટમાં નિર્ણય કરવામાં આવેલ. જેના અનુસંધાને આવતીકાલ તા.26/01/2025 પ્રજાસત્તાક પર્વના દિવસે 12 વર્ષ કે તેનાથી નાની વયના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.

આ મ્યુઝિયમમાં ગાંધીજીના જીવનના આદર્શો, જીવનચરિત્રો ઓડિયો, વિઝ્યુઅલ અને એલ.ઇ.ડી. સ્ક્રીન મારફત દર્શાવામાં આવ્યા છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં મ્યુઝિયમ ઉપરાંત વિવિધ આકર્ષણો વિકસાવવામાં આવ્યા છે જેમાં, ટિકિટ વિન્ડો, ક્લોકરૂૂમ, મુલાકાત માટે ગાઇડની સુવિધા, વિશાળ પાર્કિગ વ્યવસ્થા, ગાર્ડન, લાઇબ્રેરી, વી.આઇ.પી. લોંજ, કોન્ફરન્સ રૂૂમ, સોવિનીયર શોપ, રેસ્ટોરન્ટ સહિતની સુવિધા છે. દરરોજ રાત્રે 7 વાગ્યે ગાંધીજીના જીવનના આદર્શો દર્શાવતો લાઇટ એન્ડ સાઉન્ડ શો પ્રદર્શિત કરાય છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણથી આજ સુધીમાં 2167 વિદેશી મુલાકાતીઓ, 96696 બાળકો સહીત કુલ 3,33,987 મુલાકાતીઓએ મુલાકાત લઇ અભિભૂત થયા છે.

દર વર્ષે 26મી જાન્યુઆરી, 30મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ અને 2-જી ઓક્ટોબર નિમિતે 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. રાજકોટ શહેરના 12 વર્ષ કે તેથી ઓછી ઉંમરના બાળકો પૂજ્ય મહાત્મા ગાંધીજીના જીવન પરથી પ્રેરણા અને આદર્શ મેળવે તે માટે આવતીકાલે તા.26/01/2025ના રોજ વધુને વધુ બાળકો આ નિ:શુલ્ક સેવાનો લાભ મેળવે તે માટે મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *