કોલકાતા એરપોર્ટ પર તૂર્કીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. નેપાળના કાઠમંડુથી તૂર્કિયેના ઈસ્તંબુલ આ ફલાઈટ જઈ રહી હતી. ઇસ્તંબુલ જઈ રહેલા વિમાનમાંથી ધુમાડો નીકળતા કોલકાતાના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય (NSCBI) એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનના એન્જિનમાં આગ લાગવાની આશંકા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે
અહેવાલો અનુસાર, ટર્કિશ એરલાઇન્સ 727 વિમાનના કેપ્ટને કોલકાતા એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને વિમાનના જમણા એન્જિનમાં આગ લાગવાની શક્યતા વિશે જાણ કરી હતી. આ માહિતી મળતા જ એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને બપોરે આશરે 2:49 વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું.
https://x.com/PTI_News/status/2019013772988616782?s=20
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઉતરાણ પછી તમામ 236 મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાન હાલમાં કોલકાતા એરપોર્ટ પર આઇસોલેશન બેમાં છે, જ્યાં ટેકનિકલ નિષ્ણાતોની એક ટીમ વિમાનના જમણા એન્જિનનું નિરીક્ષણ કરી રહી છે.તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આગ લાગવાની માહિતી માત્ર ટેકનિકલ ખામી હતી કે, ખરેખર એન્જિનમાં કોઈ ગંભીર સમસ્યા હતી. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિમાનની આગળની ઉડાન પર રોક લગાવી દેવામાં આવી છે.
