કટોકટી એ સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો: મુખ્યમંત્રી

માલવિયા કોલેજ ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત ‘વકતવ્ય’ કાર્યક્રમ યોજાયો: 50 વર્ષ પહેલાં સંવિધાન સામે લાદવામાં આવેલ કટોકટી અંગે ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરાઇ ઇ.સ.1975માં…

માલવિયા કોલેજ ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત ‘વકતવ્ય’ કાર્યક્રમ યોજાયો: 50 વર્ષ પહેલાં સંવિધાન સામે લાદવામાં આવેલ કટોકટી અંગે ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરાઇ

ઇ.સ.1975માં અમલી થયેલ કટોકટીના 50 વર્ષે તા.25-06-2025ના રોજ પૂર્ણ થવાના સંદર્ભમાં લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી ભારત સરકારશ્રીના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારશ્રીના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તથા પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સના સહયોગથી સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંતર્ગત આજતા.25-06-2025ને બુધવારના રોજ સવારે 10:00 કલાકે પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સ, ગોંડલ રોડ ખાતે વક્તવ્ય કાર્યક્રમ યોજાયો. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઓનલાઇન જોડાયા હતા તેમજ આજથી 50 વર્ષ પહેલા સંવિધાન સામે લાદવામાં આવેલ કટોકટી અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ અને નાટ્યકૃતિ પ્રદર્શિત કરવામાં આવી હતી.

ગાંધીનગરથી ઓનલાઇન જોડાતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજે 25મી જૂન, 2025. આજથી બરાબર 50 વર્ષ પહેલાં, 1975 માં, ભારતના લોકશાહી ઇતિહાસનો એક કાળો અધ્યાય લખાયો હતો. આજના દિવસે, તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી, જેને આજના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સંવિધાન હત્યા દિવસ તરીકે ગણાવી એ સમયની લાદવામાં આવેલ એ માત્ર કટોકટી નહોતી, એ લોકશાહી, સ્વતંત્રતા અને મૌલિક હકો પર કરવામાં આવેલ એક ગંભીર હુમલોને યાદ કરાવે છે.1975ની કટોકટી માત્ર એક રાજકીય નિર્ણય નહોતો, પરંતુ તે ભારતના સંવિધાન અને લોકશાહીના મૂલ્યો પર સીધો પ્રહાર હતો.આપણા દેશની આત્મા પર ઘા કરવામાં આવ્યો હતો. આપણું સંવિધાન, જે કરોડો ભારતીયોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતીક છે, તેને ક્ષણભર માટે બંધક બનાવી દેવામાં આવ્યું હતું. કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતાસંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી.

ન્યાયપાલિકા પર દબાણ લાવવામાં આવ્યું હતું,આપણા અનેક નાગરિકોએ, ખાસ કરીનેયુવાનો, વિદ્યાર્થીઓ અને સમાજ સુધારકોએ, પોતાના અધિકારો અને લોકશાહીના રક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો. તેમણે અસહ્ય યાતનાઓ ભોગવી, જેલવાસ ભોગવ્યો, પરંતુ તેઓ ડગ્યા નહીં. તેમણે લોકશાહીના નવસર્જન માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કર્યું. આજે, આપણે તે તમામ અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેમણે અંધકારના તે સમયમાં આશાનું કિરણ જગાડયું હતું.

50 વર્ષના આ સમયગાળામાં, ભારતીય લોકશાહીએ ઘણા ઉતાર-ચઢાવ અનુભવ્યા છે, અને આજે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સ્થાન ધરાવીએ છીએઅને આપણું સંવિધાનઆપણું માર્ગદર્શક રહ્યું છે. આપણા રાષ્ટ્રના વિકાસના પથ પર, લોકશાહીએ હંમેશા આપણને બળ પૂરું પાડ્યું છે.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા મેયર નયનાબેન પેઢડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, દેશમાં ઈ.સ.1975માં અમલી થયેલ કટોકટીના 50 વર્ષ આજ તા.25-06-2025ના રોજ પૂર્ણ થયાના સંદર્ભમાં લોકશાહીના મૂલ્યોનું સ્મરણ કરવાના હેતુથી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા 25-મી જૂનને’સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આજના દિવસે ’ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓની રક્ષા કરતી વખતે દેશવાસીઓ પ્રતિજ્ઞા લેશે કે, ભારતમાં જે-તે સમયે કટોકટીના નામે દેશવાસીઓ પર દમન કરવામાં આવ્યું હતું એવું કંઈ કરવાની ફરી કોઈ હિંમત નહીં કરે. ભારતની નવી પેઢી ક્યારેય ભૂલી શકશે નહીં કે,તે કટોકટી દરમિયાન બંધારણને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતું કે, દેશના તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા સત્તા જાળવવા માટે કટોકટીની જાહેરાત કરવામાં આવી. દેશના 1 લાખથી વધુ લોકોને 21 મહિના સુધી જેલમાં નાખવામાં આવ્યા. જેમને આ લોકશાહીનો વિરોધ કર્યો તેમને જેલમાં નાખવામાં આવ્યા. જેમાં કોઈ કોર્ટનું ન ચાલે, કોઈ સરકારનું ન ચાલે. લોકશાહીનો જેને આધારસ્તંભ કહીએ છીએ ન્યુઝ પેપરો, મિડીયા તેના વિરૂૂદ્ધ પણ કોઈ લખી ન શકે તેના પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો. આઝાદ થયા બાદ આ દેશના લોકોને કેટલી આશાઓ અને અપેક્ષાઓ હતી પરંતુ પોતાની સત્તા ટકાવી રાખવા માટે કટોકટી લાદવામાં આવી અને દેશના બંધારણની હત્યા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા,રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા,સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, કોર્પોરેટરશ્રીઓ મગનભાઈ સોરઠીયા, વિનુભાઈ સોરઠીયા, રણજીતભાઈ સાગઠીયા, હિરેનભાઈ ખીમાણીયા, નીતિનભાઈ રામાણી, ભારતીબેન પરસાણા, મંજુબેન કુગશિયા, વિનુભાઈ ઘવા, સોનલબેન સેલારા, રવજીભાઈ મકવાણા, કંચનબેન સિધ્ધપુરા, દક્ષાબેન વાઘેલા, રસિલાબેન સાકરીયા, ડો. હાર્દિક ગોહિલ, દુર્ગાબા જાડેજા, જયાબેન ડાંગર, કીર્તિબા રાણા, અશ્વિનભાઈ પાંભર, પરેશભાઈ આર. પીપળીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, મેનેજર અને પી.એસ. ટુ મેયર વિપુલ ઘોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, સામાજિક અગ્રણી લાભુભાઈ ખીમાણીયા, પી.ડી. માલવીયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઈ હેરભા,પી.ડી. માલવીયા કોલેજના આચાર્યશ્રી કમલેશભાઈ જાની, પ્રોફેસરો, વિદ્યાર્થીઓ,શહેરના હોદેદારો, મહાનુભાવો, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગતથારાજકોટ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ, પી.ડી. માલવીયા કોલેજના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોને પી.ડી.એમ. કોલેજના કેમ્પસમાં એનસીસીના કેડેટસ દ્વારા આવકારવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા કરવામાં આવેલ. મહાનુભાવોનું પુષ્પ, ખાદીનો રૂૂમાલ અને મોમેન્ટો આપી સ્વાગત સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભારવિધિ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *