વૃધ્ધ ખીરસરા લગ્નમાંથી પરત ફરતા નડેલો અકસ્માત
લોધીકાના ખીરસરા અને મોટાવડા વચ્ચેના રસ્તા પર કારના ચાલકે બાઇકને ઉલાળતાં મોટાવડાના ખેડુત વૃધ્ધનું મોત થયું છે.જ્યારે તેમના કુટુંબી ભાઇનો નજીવી ઇજા સાથે બચાવ થયો છે. બંને ભાઇઓ ખીરસરા નજીક સાત હનુમાન મંદિર પાસે સગાનો લગ્નપ્રસંગ હોઇ તેમાં હાજરી આપી ઘરે આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
વધુ વિગતો મુજબ, મોટાવડા ગામે રહેતાં અરવિંદભાઈ વાઘજીભાઈ પાંભર (ઉ.વ.6પ) અને તેના કુટુંબી ભાઈ જીવનભાઈ નરસીભાઈ પાંભર (ઉ.વ.70) બંને હોન્ડા પર બેસી ખીરસરા નજીકના સાત હનુમાન મંદિર પાસે સગાનો લગ્નપ્રસંગ હોઇ તેમાં જમણવારમાં હાજરી આપવા ગયા હતાં. ત્યાંથી પરત કરતી વખતે સાંજે સાડા આઠેક વાગ્યે ખીરસરા-મોટાવડા વચ્ચેના રસ્તા પર હતાં ત્યારે એક કારના ચાલકે બાઇકને ઠોકરે લેતાં બંને ભાઇઓ ફંગોળાઇ ગયા હતો. કારમાં પણ ભારે નુકસાની થઈ હતી.
અકસ્માતમાં જીવનભાઇ પાંભરનો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો. જ્યારે અરવિંદભાઇ પાભરને ગંભીર ઇજાઓ થતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને જાણ કરી હતી. પોલીસે કાર મુકી ભાગી ગયેલા ચાલકની શોધખોળ હાથ ધરી છે.મૃત્યુ પામનાર અરવિંદભાઇ પાંભર ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેઓ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાઇ ગયો છે.
