રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલેનું મોટું નિવેદન સામે આવ્યું છે. આગામી દીવસોમાં જયારે અમદાવાદમાં રથયાત્રા યોજાનાર છે. ત્યારે ઋષિકેશ પટેલે કહ્યું છે કે, બિમાર વ્યક્તિઓને રથયાત્રામાં ન જવા સૂચના અપાઇ છે. આ સાથે ટીવી સ્કિન પર જ દર્શન કરવા વિનંતી કરાઇ છે.
ઋષિકેશ પટેલે કોરના વધતાં કેસો અને રથયાત્રા મામલે લોકોને અપીલ કરતાં કહ્યું કે, ‘હાલના સમયમાં શરદી ખાંસીના લક્ષણો ધરાવનારા, કોમોર્બિડ દર્દી અને વૃદ્ધોએ રથયાત્રામાં જવાનું ટાળવું જોઈએ. ઘરે બેસીને જ ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ. બિમાર લોકોએ તો ભીડમાં જવું જોઈએ જ નહીં. જો કે, રાજ્યમાં રોજબરોજ વધી રહેલા કોરોનાના કેસને લહેર કે સુનામી કહી શકાય નહીં. કોરોના વાઇરસ વિશ્વમાં ફેલાયા બાદ આ ચોથી વખત છે કે, કોરોનાના કેસ વધી રહ્યાં છે અને અમે કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છીએ.’
કોરોના વાઇરસ લઈને તેમણે જણાવ્યું છે કે, ‘કોરોનાનો વર્તમાન વેરિયન્ટ ઘાતક નથી. ગઈ વખતે કોરોનાના કેસમાં ઉત્તરોત્તર વધારો થયો હતો, ત્યારબાદ તેમાં ઘટાડો થયો. હાલ છેલ્લા 25 દિવસથી કેસ વધ્યા છે, પરંતુ જીવનું જોખમ નથી. લક્ષણ દેખાય તો તરત જ સારવાર ચાલુ કરવી જોઈએ. કોઈને શરદી-ખાંસી, ગળામાં દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે, તો તેમણે ક્વોરન્ટાઇન થઈને સારવાર કરાવવી જોઈએ અને સાવચેત રહેવું જોઈએ.’
ગુજરાતમાં કોરોના માથું ઉચક્યું છે, સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 223 કેસ નોંધાયા છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 1229 પર પહોંચી છે.
