ભૂકંપ: ગુજરાતના ‘ગોઝારા દિવસ’ની 25મી વરસી

  20 હજાર લોકોનાં મોત અને દોઢ લાખથી વધુ લોકો થયા હતા ઘાયલ વર્ષ 1819,1956 પછી વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું હતું વર્ષ…

 

20 હજાર લોકોનાં મોત અને દોઢ લાખથી વધુ લોકો થયા હતા ઘાયલ

વર્ષ 1819,1956 પછી વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાખ્યું હતું

વર્ષ 2001ના ભૂકંપની 25મી વરસીએ 20,000 લોકોનાં મોત થયા હોવાની વસમી યાદો ફરી તાજી થાય છે. આ ભૂકંપમાં ઘાયલ થયેલાં દોઢ લાખ લોકો માનસપટલ ઉપર એ વસમા દિવસની યાદ સાથે ફરી ધ્રુજી ઉઠે છે. ગણતંત્ર દિવસની ઉજવણી ગૌરવભેર થઈ રહી હતી ત્યારે સવારે 8-45ના ટકોરે આવેલા વિનાશક ભૂકંપે કચ્છને એ હદે તારાજ કર્યું કે, કુચ્છ ફરી ઉભું થશે કે કેમ તેવો સવાલ દરેકના મનમાં ઉઠતો હતો.

પણ, કચ્છ અને કચ્છી માડુઓએ સમયના પડકારને એવી રીતે ઝીલી બતાવ્યો છે કે, ભૂકંપથી ત્રીજી વખત તબાહ થયેલું કચ્છ દુનિયા જોતી રહીજાય તે રીતે વિકાસ પામ્યું છે અને નિખરી ઉઠ્યું છે. મહત્ત્વનું છે કે, વર્ષ 1819 અને 1956 પછી વર્ષ 2001માં ભૂકંપે કચ્છને તહસનહસ કરી નાંખ્યું હતું.

કચ્છનો એવો વિકાસ થયો છે કે, વિશ્વભરમાં તેની મિશાલ આપવામાં આવે છે. બંદરો હોય, શહેરી વિસ્તાર કે પછી પ્રવાસન, ખેતીની કે દૂધ ઉત્પાદન સહિત તમામ ક્ષેત્રે કચ્છ નંબર વન બની અણનમ છે. કચ્છના વિનાશક ભૂકંપની પચ્ચીસમી વરસીએ દર વર્ષે આવતી ભૂકંપની વરસીએ કચ્છને સુખરૂૂપ જોઈ રહેલી નવી પેઢી સાથે તાલમેલ મીલાવીને બે દાયકે ફરી જીવનના રસ્તે ચડી ગયેલા લોકો પોતાના ગુમાવેલા સ્વજનોને યાદ કરે છે. 2001ના કચ્છમાં તારાજી સર્જનાર ભૂકંપ ભચાઉ તાલુકાથી 12 કિ.મી.ના અંતરે ચોબારી ગામ પાસે ઉદભવ્યો હતો. કચ્છ, અમદાવાદ સહિત 21 જિલ્લાના 700 કિ.મી. વિસ્તારમાં વિનાશક અસર કરી હતી. કુલ ચાર લાખ મકાનો ધ્વસ્ત થયા હતા. હજારો પરિવારો બેઘર અને નોંધારા બની ગયા હતા.

ગુજરાતના મુખ્ય 18 શહેરો અને 182 તાલુકાના 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. જો કે, સૌથી ભૂકંપની સૌથી વધારે અસર કચ્છમાં થઈ હતી. ભુજ, અંજાર, રાપર, ભચાઉ વધુ નુકસાનગ્રસ્ત થયા હતા. કચ્છના 400 ગામો જમીન દોસ્ત થઈ ગયા હતા. 2001ના ભૂકંપના આ અઢી દાયકામાં નાના મોટા આંચકા આજે પણ અનુભવાઈ રહ્યા છે જે વિનાશક ભૂકંપની યાદ અપાવી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *