મોરબી મહાનગરપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા દર સપ્તાહે ચલાવવામાં આવતી ’વન વીક વન રોડ’ ઝુંબેશ હેઠળ રાજકોટ-મોરબી રોડ પર ભક્તિનગર સર્કલથી શનાળા સુધીના માર્ગ પરના અનધિકૃત દબાણો દૂર કરવાની મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.
શહેરના જાહેર માર્ગો પરથી વાહનવ્યવહાર સરળતાથી પસાર થઈ શકે અને ટ્રાફિકના કારણે વાહનચાલકોને પડતી હાલાકીનો અંત આવે તે હેતુથી મનપાની ટીમે આ કાર્યવાહી કરી હતી. આ કામગીરી દરમિયાન અંદાજે 5 જેટલા ઝૂંપડાં, 10 કેબિન અને 30 જેટલા કાચા અને પાકા દબાણો હટાવવામાં આવ્યા હતા. એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા કાર્યવાહી કરતા પહેલા દબાણકર્તાઓને પૂર્વ સૂચના આપવામાં આવી હતી અને દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો હતો.
મનપાની આ નોટિસના અનુસંધાને મોટાભાગના લોકોએ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરી લીધા હતા. ત્યારબાદ બાકી રહેલા દબાણો પર મનપાની ટીમે જેસીબી મશીન ફેરવીને દબાણો દૂર કર્યા હતા અને માર્ગને વાહનવ્યવહાર માટે ખુલ્લો કર્યો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.
