રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, સિનિયર કોંગ્રેસ અગ્રણી પૂર્વ પ્રવક્તા કોંગ્રેસ સમિતિ ગજેન્દ્રસિંહ ઝાલા, સિનિયર કોંગ્રેસ અગ્રણી પૂર્વ ઉપપ્રમુખ પટેલ નાગજીભાઈ વિરાણી ની સંયુક્ત યાદી જણાવે છે કે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 1 એપ્રિલ 2026 ના રોજ જાહેરાત થઈ ચૂકી છે. તારીખ 26 એપ્રિલે મતદાન તારીખ છે અને રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 260 તાલુકા પંચાયતની ચૂંટણીઓ કરવામાં આવશે જે પગલે રાજ્યભરમાં ચૂંટણીની તારીખ જાહેર થતાં જ દરેક રાજકીય પક્ષોએ આચારસંહિતાનો અમલવારી કરવાની થાય છે પરંતુ શાસક પક્ષ દ્વારા ચૂંટણી આચારસંહિતાનો અમલ કરાવવામાં ભાજપની હજુરિયાગીરી કરનારા અધિકારીઓ દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવતા હોય છે.
શાસક પક્ષના આદેશથી સત્તાધીશોની સિધી દોરવણી હેઠળ અધિકારીઓ કામ કરતા હોવાના પગલે આચારસંહિતાનો ભંગ થતો હોય ત્યારે ફરિયાદો કરવા છતાં તેનો સમય મર્યાદામાં પાલન કરવામાં આવતું નથી. આચાર સંહિતા નો ભંગ થતો હોય તેવી ફરિયાદોનો ઉલાળીયો પણ કરવામાં આવે છે તાજેતરમાં રાજ્યની ચૂંટણીના પગલે આચારસંહિતા લાગુ થયેલ હોવા છતાં રાજકોટ શહેર અને જિલ્લામાં વડાપ્રધાન અને મુખ્યમંત્રીના તસવીરો સાથેના બેનરો આજની તારીખે હટાવવામાં તંત્ર દ્વારા ગલ્લા તલ્લા થયા છે. આગામી દિવસોમાં રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં માહોલ ગરમાવાનો છે ત્યારે ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી સમયે અને ચૂંટણીના આગલા દિવસોમાં આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ થતો હોય છે જે અગાઉની ચૂંટણીમાં પણ રેકોર્ડ પર છે.
આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કરનારા ઉમેદવારો અને શાસક પક્ષને કાબુમાં રાખવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં એક ચૂંટણીની આચારસંહિતા ને ધ્યાનમાં લઇ ને સિનિયર કોંગ્રેસના આગેવાનો, એડવોકેટો, જાબાજ અને ધમકીઓથી ડરે નહીં તેવા આગેવાનોની એક ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવે અને તેનું સંચાલન સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટથી કરવામાં આવે તેવી લેખિત રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય અમિતભાઈ ચાવડા ને કરવામાં આવી છે.
