ક્રૂરતા અને દહેજ ઉત્પીડન કેસમાં હાઇકોર્ટના નિર્ણયને ઉલટાવી પતિ સામેનો ગુનો નાસાબિત માન્યો
વૈવાહિક વિવાદો સાથે જોડાયેલા એક કેસમાં મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પતિનું તેની પત્ની પર આર્થિક અથવા નાણાકીય વર્ચસ્વ ક્રૂરતા નથી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ફોજદારી કેસ વ્યક્તિગત બદલો લેવા અથવા સમાધાનનું સાધન બનાવવાની મંજૂરી આપી શકાય નહીં. કોર્ટે આ ટિપ્પણી એવા કેસમાં કરી હતી જ્યાં પતિ સામે ક્રૂરતા અને દહેજ ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે પતિની અપીલ સ્વીકારી અને તેની સામે દાખલ કરાયેલી એફઆઈઆર રદ કરી. તેલંગાણા હાઈકોર્ટે અગાઉ એફઆઈઆર રદ કરવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આરોપો કાયદાની કસોટી પર ખરા ઉતરતા નથી, આમ કહી હાઈકોર્ટના નિર્ણયને પલટાવી દીધો હતો.
બેન્ચે અવલોકન કર્યું હતું કે પત્નીના આરોપોમાં પતિ દ્વારા આર્થિક વર્ચસ્વનો આરોપ મૂકવામાં આવ્યો હતો,
પરંતુ તેઓએ કોઈ નોંધપાત્ર માનસિક અથવા શારીરિક નુકસાનના પુરાવા પૂરા પાડ્યા નથી. કોર્ટે નોંધ્યું હતું કે ભારતીય સમાજમાં, પુરુષો ઘણીવાર ઘરોમાં નાણાકીય બાબતો પર નિયંત્રણ રાખે છે, પરંતુ આ એકલા આધાર પર ફોજદારી ક્રૂરતા નથી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે ખર્ચનો હિસાબ અથવા પૈસાના ઉપયોગ વિશેની માહિતી માંગવી એ ક્રૂરતા નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ખર્ચ અંગે પતિ-પત્ની વચ્ચેના વિવાદો અથવા તકરાર લગ્નના “દૈનિક ઉતાર-ચઢાવ” નો ભાગ હોઈ શકે છે. ભારતીય દંડ સંહિતાની કલમ 498અ હેઠળ આવા કેસોને ક્રૂરતા ગણી શકાય નહીં. કોર્ટે ચેતવણી આપી હતી કે કાનૂની પ્રક્રિયાના દુરુપયોગ અને ન્યાયના ભંગને રોકવા માટે વૈવાહિક બાબતોમાં આરોપોની સંપૂર્ણ તપાસ જરૂૂરી છે.
