મોરબીમાં મહાશિવરાત્રી પર્વે તમામ કતલખાના બંધ રાખવા અને નોનવેજ વેચાણ પર પ્રતિબંધ અંગે મહાનગરપાલિકાએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું છતાં કેટલાક ઇસમોએ નોનવેજ વેચાણ કરી જાહેરનામાંનો ભંગ કર્યાને પગલે મહાપાલિકાના કર્મચારીઓ દ્વારા બે અલગ અલગ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવી છે પ્રથમ ફરિયાદ મોરબી મહાનગરપાલિકા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધ્યક્ષ અનુરાગ સંતોકીએ ન્યુ અયોધ્યાપુરી મેઈન રોડ પર આવેલ યાદગાર કેટરર્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તેમજ બીજી ફરિયાદ ક્લાર્ક દિલીપસિંહ રાઠોડે શક્તિ ચોક (ખાટકીવાસ) પાસે આવેલ સરકાર બાવા અહમદશાહ નામની દુકાનના માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા તા. 13 ફેબ્રુઆરીના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું કે 15 ફેબ્રુઆરીના રોજ મહા શિવરાત્રી નિમિતે તમામ કતલખાના બંધ રાખવા અને નોન વેજ વેચાણ પર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો હતો.
આમ છતાં બંને આરોપીઓએ પોતાની નોનવેજ દુકાનો ખુલ્લી રાખી જાહેરનામાંનો ભંગ કરી નોન વેજ વેચાણ કરતા વિશ્વ હિંદુ પરિષદના પ્રમુખ દ્વારા મહાનગરપાલિકામાં અરજી કરવામાં આવી હતી જેને પગલે બંને વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાવી છે સીટી એ ડીવીઝન પોલીસે બંને દુકાનદારો વિરુદ્ધ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
