સાધુ-સંતો, ઉતારા મંડળો, સામાજિક સંસ્થા સાથે વહીવટી તંત્રની બેઠક યોજાઇ
ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓની વ્યવસ્થાને ધ્યાન રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાધુ-સંતો ઉતારા મંડળ અને સામાજિક સંસ્થાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમાના આયોજનને લઈને સાધુ-સંતો તેમજ અગ્રણીઓ દ્વારા જુદા જુદા સૂચનો કરવામાં આવ્યા છે સામાજીક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સૂચનો અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કારતક સુદ અગિયારસથી શરૂૂ થનાર ગિરનારની પરિક્રમાને લઈને વહીવટી તંત્રની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ સૂચનો અંગે ચર્ચા કરવામાં આવી હતી, તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે. તેની માહિતી આપવામાં આવી હતી તેમાં આવેલા સૂચનો પર અમલવારી કરવા અને જરૂૂરી વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી. આગામી 2 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે. જેને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને તેના ભાગરૂૂપે વહીવટી તંત્ર, સાધુ સંતો અને સામાજીક સંસ્થાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં ઈન્દ્રભારતી બાપુ સહિતના સાધુ સંતો તથા પરિક્રમા દરમિયાન ઉતારા અને અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાના આગેવાનો, સામાજીક અગ્રણીઓ અને તંત્રના અધિકારીઓ વચ્ચેની બેઠકમાં સૂચનો અને તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ગિરનારની પરિક્રમા કરવા આવતાં ભાવિકોને કોઈ અગવડતા ન પડે અને કોઈપણ પ્રકારની મુશ્કેલી વગર પરિક્રમા પૂર્ણ થાય તેવા પ્રયાસો તંત્ર દ્વારા થઈ રહ્યા છે, ગિરનારમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ છે. ત્યારે ખાસ કરીને દૂધ અને અનાજ સહિતનો સામાન કે જે પ્લાસ્ટીક પેકીંગમાં જ આવે છે તેના વિકલ્પ અને તે અંગે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. અન્નક્ષેત્રો, પીવાના પાણી, સફાઈ, ટ્રાફિક વ્યવસ્થા, લોકોની સુરક્ષા, તથા આરોગ્ય લક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવા આગેવાનોએ સૂચનો કર્યા હતા.
બીજી તરફ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પરિક્રમા દરમિયાન અનેક લોકો દ્વારા ફંડફાળા ઉઘરાવવા માટેના સ્ટોલ નાખવામાં આવે છે, તેને મંજૂરી ન આપવામાં આવે અને તે સ્ટોલ બંધ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આગામી દિવસોમાં યોજાનાર પરિક્રમાને લઈને તંત્ર એકશન મોડમાં આવ્યું છે અને તમામ તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે.
