મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઑપરેટિવ બેન્ક (MSCB)માં 25,000 કરોડ રૂૂપિયાના કૌભાંડ સંબંધિત કેસમાં સિટી પોલીસની ઇકોનોમિક ઑફેન્સિસ વિંગ (EOW) દ્વારા રજૂ કરાયેલો ક્લોઝર રિપોર્ટ કોર્ટે સ્વીકાર્યો છે. આ રિપોર્ટમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને અન્ય આરોપીઓને ક્લીન ચિટ આપવામાં આવી. કોર્ટે ઍક્ટિવિસ્ટ અણ્ણા હઝારે અને અન્ય લોકો દ્વારા ક્લોઝર રિપોર્ટને પડકારતી વિરોધ અરજીઓને પણ ફગાવી દીધી. અજિત પવારના પત્ની સુનેત્રા પવારને પણ તમામ આરોપોમાંથી મુક્તિ આપવામાં આવી છે.
સંસદસભ્યો અને વિધાનસભ્યોને લગતા કેસોના ખાસ ન્યાયાધીશ મહેશ જાધવે EOWએ દાખલ કરેલો રિપોર્ટ સ્વીકાર્યો જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ પ્રકરણમાં કોઈ ક્રિમિનલ કેસ બન્યો નથી જેથી અજિત પવારના અવસાનના એક મહિના બાદ તેમને આ કેસમાં ક્લીન ચિટ મળી છે.
કેસની વિગત મુજબ જિલ્લા અને સહકારી બેન્કો દ્વારા કો-ઑપરેટિવ શુગર ફેક્ટરીઓ, સ્પિનિંગ મિલો અને અન્ય સંસ્થાઓને નિયમોનું પાલન કર્યા વિના લોન-ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવ્યું હતું. 2007થી 2017 દરમ્યાન લોન-ડિસ્ટ્રિબ્યુશનમાં અનિયમિતતાને કારણે રાજ્યની તિજોરીને 25,000 કરોડનું નુકસાન થયું હતું. બોમ્બે હાઈ કોર્ટના નિર્દેશો બાદ 2019માં તપાસ શરૂૂ થઈ હતી. મહા વિકાસ આઘાડી (MVA) સરકારમાં અજિત પવાર નાણાપ્રધાન હતા ત્યારે EOW એ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે કોઈ ફોજદારી ગુનો બન્યો નથી.
2024 જાન્યુઆરીથી અજિત પવારે રાષ્ટ્રવાદી કોન્ગ્રેસ પાર્ટી સાથે છેડો ફાડ્યા બાદ મહાયુતિ ગઠબંધનમાં જોડાયાના મહિનાઓ પછી એજન્સીએ ફરી એક વાર ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો જેમાં ફરી એક વાર અજિત પવારને ક્લીન ચિટ અપાઈ.
