આજથી તમામ રાષ્ટ્રીય ધોરી માર્ગ પર રોકડમાં ટોલ વસૂલી સંપૂર્ણ બંધ

ભારતમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હવે હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ(કેશ) વ્યવહારો ભૂતકાળ બની જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ…

ભારતમાં નેશનલ હાઇવે પર મુસાફરી કરનારાઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. હવે હાઇવે ટોલ પ્લાઝા પર રોકડ(કેશ) વ્યવહારો ભૂતકાળ બની જશે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન મુજબ, 10 એપ્રિલથી દેશભરના નેશનલ હાઇવે પર ટોલ ટેક્સ ચૂકવવા માટે રોકડનો ઉપયોગ કરી શકાશે નહીં. સરકારનો આ નિર્ણય ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા અને ટોલ નાકાઓ પર થતી વાહનોની ભીડ તથા લાંબી કતારોને ઘટાડવા માટે લેવામાં આવ્યો છે.

આ નવા નિયમ સાથે હવે સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ અમલમાં આવશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.નવા નિયમો મુજબ, જે વાહનો પાસે માન્ય FASTag નથી, તેઓ હજુ પણ UPI દ્વારા પેમેન્ટ કરી શકશે, પરંતુ તેમને આ સુવિધા મોંઘી પડશે. જો તમે FASTag વગર UPIથી પેમેન્ટ કરશો, તો તમારે નિર્ધારિત ટોલ ફી કરતા 1.25 ગણો ટેક્સ ચૂકવવો પડશે. એટલે કે, સામાન્ય ટેક્સ પર વધારાનો 25% ચાર્જ વસૂલવામાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય લોકોને છેલ્લી ઘડીના પેમેન્ટને બદલે FASTag નો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. લાંબા અંતરની મુસાફરી દરમિયાન આ વધારાનો ચાર્જ ખિસ્સા પર મોટો બોજ બની શકે છે, તેથી મુસાફરો માટે હવે FASTag રાખવું અનિવાર્ય બની ગયું છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી ટોલ પ્લાઝા પર કાર્યક્ષમતા વધશે. વાહનોને ટોલ ભરવા માટે ઊભા રહેવું નહીં પડે, જેનાથી ઇંધણની બચત થશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. મોટાભાગના મુસાફરો પહેલેથી જ FASTag નો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ જેઓ હજુ પણ રોકડ વ્યવહાર પર નિર્ભર હતા અથવા જેમના FASTag નિષ્ક્રિય છે, તેમણે હવે ઝડપથી આ ફેરફાર અપનાવવો પડશે. 10 એપ્રિલ, 2026થી અમલી બનતો આ નિયમ હાઇવે પરના ટ્રાફિક મેનેજમેન્ટમાં એક ક્રાંતિકારી પગલું સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *