માનસ સદ્ભાવના રામકથામાં આઠમા દિવસે રામભકત શ્રોતાઓની જામી ભીડ: શાસ્ત્રોકત વિધિ સાથે મહેમાનોએ શિલાપૂજનનો વહાવો લઇ ધન્યતા અનુભવી
મહાનુભાવોની વ્યવસ્થા સહિત હરિભકતોની સેવાની સાર્વત્રિક સરાહના
માનસ સદભાવના રામકથાના આજે આઠમા દિવસે મોરારિબાપુએ એક શ્ર્લોક દ્વારા વૃક્ષ અને વૃદ્ધનો મહિમા ગાયો. તેમણે શ્ર્લોક ટાંક્યો -મૂલે બ્રહ્મા, ત્વચા વિષ્ણુ, શાખે રુદ્ર મહેશ:પત્રે પત્રે તું દેવસ્ત્રામ, વૃક્ષરાજ નમોસ્તુતે
મોરારિબાપુએ અર્થ કરતાં જણાવ્યું કે જેના મૂળમાં બ્રહ્મા છે, ત્વચા માં વિષ્ણુ છે,શાખામાં મહેશ્વર છે, પાંદડે પાંદડે પરમાત્મા છે તેવા વૃક્ષને અમે પ્રણામ કરીએ છીએ. તેમણે એમ પણ કહ્યું કે વૃદ્ધ ના ચરણમાં પણ બ્રહ્મા વસે છે, તેમાં પણ વિષ્ણુ અને મહેશ છે માટે વૃક્ષ અને વૃદ્ધને હમેશા પ્રણામ કરવા.
મોરારિબાપુએ જણાવ્યું કે સદભાવના વૃદ્ધાશ્રમ ભારતની પૃથ્વીને હરિત કરવા સંકલ્પ કર્યો છે ત્યારે આપણે સૌ એમાં જોડાઈ જઈએ. વૃક્ષ અને વૃદ્ધ વિના આપણું કલ્યાણ નથી. ભારતીય પરંપરામાં વૃક્ષ અને વૃદ્ધનું મહિમા ગાન કરવામાં આવ્યું છે. તેમણે શાસ્ત્રોમાં આધાર લઈ વૃદ્ધોને જ્ઞાનવૃદ્ધ, અનુભવવૃદ્ધ, વૈરાગ્યવૃદ્ધ, ધર્મવૃદ્ધ, સ્મૃતિવૃદ્ધ કહ્યા. તેમણે કહ્યું કે રામકથામાં સાત પ્રકારના વૃદ્ધોનો ઉલ્લેખ છે.
મોરારિબાપુએ રાજકોટ હવે રામમય બની ગયું છે તેમ કહી કાયમ માટે રામમય રહે એ માટે પોતે હનુમાનજીને પ્રાર્થના કરશે તેવું પણ જણાવ્યું હતું. તેમણે આજની કથામાં સીતાજીનું વર્ણન કરી ભારતીય નારીની શોભા, શીલ, સ્નેહ વગેરે અલંકારો હોવાનું જણાવ્યું. મહાભારતની કથા યાદ કરીને મહાભારતમાં જે છે તે દુનિયામાં છે અને જે મહાભારતમાં નથી તે દુનિયામાં ક્યાંય નથી એવું પણ જણાવ્યું હતું.
મોરારી બાપુ દેશના પ્રખ્યાત રામકથાકાર છે. તેઓ માત્ર દેશમાં જ નહીં,પરંતુ સમગ્ર વિશ્વમાં રામકથાનું આયોજન કરે છે. તેમની કથા કહેવાની શૈલી અનોખી હોય છે.મોરારી બાપુનો જન્મ તલગાજરડા ગામમાં થયો હતો. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો પણ આપવામાં આવે છે. મોરારિબાપુએ મે, 1966માં ગાંઠિલા(તા. વંથલી,જિ. ભાવનગર)માં રામકથાનું પ્રથમ નવાહન પારાયણ કર્યું અને તે પછી તો દેશ-વિદેશમાં તથા સ્ટીમર, એરોપ્લેન વગેરેમાંયે કથાઓ કરતા રહ્યા.
તેમણે કૈલાસ-માનસરોવર જઈને ત્યાં પણ કથા-પારાયણ કરેલું છે. તેમણે 947 કથા-પારાયણ કર્યાં છે. તેમણે ગુજરાતીમાં તેમજ હિન્દીમાં પણ રામકથાનાં સુંદર પારાયણો કરેલા છે. અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, જાપાન, શ્રાલંકા, ઇન્ડોનેશિયા, ઇઝરાયેલ, યુ એન સહિતનાં ઘણા દેશોમાં રામકથા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર મથક ખાતે મોરારી બાપૂની રામ કથા કરાઈ હતી તે કથામાં એ.આઈ(આર્ટિફીશિયલ ઇન્ટલીજન્સ)નો ઉપયોગ કરીને તેમની પોતાની અવાજમાં અંગ્રેજી સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યું હતું.
મોરારી બાપૂએ ન્યુયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં રામકથાનું આયોજન કર્યુ હતુ. યુએનના મુખ્યાલયમાં કરાયેલ આ આયોજન કોઇપણ આધ્યાત્મિક ગુરૂૂ દ્વારા કરાયેલું આ પ્રકારનું પ્રથમ આયોજન હતું. બાપુએ તેમના નવ દિવસીય આધ્યાત્મિક કાર્યક્રમ સંસ્થાનને સમર્પિત કર્યો હતો અને વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેઓ યુએનની જનરલ એસેમ્બલી પણ ગયાં હતાં, જ્યાં તેમણે ગોસ્વામી તુલસીદાસનું રામચરિત માનસ (રામાયણ) મૂકીને વૈદિક સ્તોત્રનો ઉચ્ચાર કર્યો હતો. આ પ્રવચનના મુખ્ય પાંચ તત્વો હતાં આકાશ, જળ, પૃથ્વી, વાયુ અને અગ્નિ. બાપુએ સંયુક્ત રાષ્ટ્રના ઉપ મહાસચિવ અમીના જે. મોહમ્મદ સાથે મુલાકાત કરી હતી, જેમણે કહ્યું કે, અગાઉ તમે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયની પરિક્રમા કરી હતી અને હવે તમે મુખ્યાલયના કેન્દ્રમાં છો.
તેમણે કહ્યું કે આ આયોજને 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલને સાકાર કરવાના પ્રયાસોને બળ આપ્યું છે. બાપુએ તેમને કહ્યું હતું કે, તેમની વ્યાસપીઠ હંમેશા વિશ્વ શાંતિ,વિશ્વ પ્રગતિ અને વિશ્વ સુખ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના કાર્યક્રમની સાથે રહેશે. તેમણે હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે વિશ્વના નેતાઓએ સ્વાર્થ છોડીને ઇઝરાયલ અને યુક્રેન સહિત અન્ય ચાલી રહેલાં યુદ્ધની સમાપ્તિ માટે પ્રયાસો કરવા જોઇએ.
પૂ.મોરારિબાપુએ સનાતન ધર્મનો યજ્ઞમાં પોતાની પૂર્ણ,પુણ્ય આહુતિ આપી છે. બાપુ સારા વક્તા તો છે,પણ એટલા જ સારા શ્રોતા પણ છે. વિશ્વોત્તમ પ્રતિભાઓથી માંડીને લોકજીવનના તળિયાના માણસ સુધી સૌને સમાન ધારણાથી બાપુ સાંભળી શકે છે. કોઈ પણ કલાકાર, ગાયક, વ્યાખ્યાતાની પ્રસ્તુતિની કલાની ટોચની પળ બાપુ પકડી જાણે છે અને આગવી રીતે પોંખે – દાદ આપે. ક્યારેક ઝૂમી ઊઠતા દેખાય, ક્યારેક હાથ લંબાવીને વધાવતા હોય, તો ક્યારેક ખભો ઊંચકીને મોજનો ઉમળકો બાપુ બતાવતા હોય.
રામકથા તો છેવટે રામકથા જ રહેવાની પણ રામાયણને કેન્દ્રમાં રાખીને બાપુએ તદ્દન અલગ-અલગ વિષયોને આવરી લેતી અનેક કથાઓ કરી છે. 1976માં થઇ હતી ત્યારબાદ 1982, 1986 અને એ પછી 1998 માં માનસ મુદ્રિકા, 2007 માં માનસ વાલ્મિકી,2012 માં માનસ હરિહર નામે રામકથા યોજાઈ હતી.
રામકથામાં એન.એસ.એસ.ની 45 છાત્રાઓએ મુખ્ય મહેમાનોની બેઠક વ્યવસ્થા સંભાળી
અલૌકિક વૈશ્વિક રામકથામાં મુખ્ય ડોમ પાસે આયોજકો ઘ્વારા શિલાપૂજન વિભાગ બનાવવામાં આવ્યો છે. જયાં દરરોજ વિવિધ ક્ષેત્રના મહમાનુભાવો અને મુખ્ય દાતાઓ ધ્વારા શિલાપૂજન કરાવવામાં આવે છે આ પૂજન કરાયેલી શિલાને નવનિર્મિત સદભાવના વૃધ્ધાશ્રમના બાંધકામના ઉપયોગમાં લેવામાં આવશે. એન.એસ.એસ.ની 45 વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક સંપૂર્ણ વ્યવસ્થા સંભાળી, કથામાં આવેલ હરિભકતોની સેવા કરી આ સત્કાર્યમાં સ્વયંભુ સહભાગી થઈ રહ્યા છે.
રામકથામાં કલ્પસર સહયોગ સમિતિના પ્રમુખ વિનુભાઈ ગાંધીએ હાજરી આપી
માનસ સદભાવના રામકથામાં વિનુભાઈ ગાંધી હાજર રહ્યા હતા. 97 વર્ષે પણ ભાવનગરના વિનુભાઈ ગાંધી સમાજ માટે કાર્ય કરી રહ્યા છે. વિનુભાઈ ગાંધી કલ્પસર સહયોગ સમિતિનું પ્રથમ સંમેલન રાજકોટમાં યોજાયા પછી 15 વર્ષથી કલ્પસર સહયોગ સમિતિના પ્રમુખ તરીકે કાર્યરત છે. કલ્પસર વિભાગના પ્રયોગોમાં રહીને ભાવનગર તથા દહેજ વચ્ચે સુમિત ડેમ પથ રેખા મંજૂર કરાવીને બંને છેડાના અપેક્સ પોઇન્ટની વિધિ કરેલ છે ત્યાં સુધીમાં કલ્પસર સરોવર યોજના અંગે તેમના લેખો પ્રસર્યા છે. સમગ્ર ગુજરાતની જળસંચય ઉપલબ્ધ 11,000 થી 12000 મિલિયન ઘનમીટર છે. કચ્છ સૌરાષ્ટ્રમાં માટે અન્ય કોઈ વિકલ્પ નથી આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે તથા ગુજરાતના સંતુલિત વિકાસ માટે કલ્પસર સરોવર શ્રેષ્ઠ ઉપાય છે.
રામકથામાં વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના વ્રજરાજ કુમાર મહોદય ઉપસ્થિત રહેશે
માનસ સદભાવના રામકથામાં આવતીકાલે રવિવારે વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના વ્રજરાજ કુમાર મહોદય ઉપસ્થિત રહેશે. વ્રજરાજકુમારજી મહોદયએ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 18મા વંશજ છે. તેઓ પુષ્ટિમાર્ગ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)ની પ્રથમ આધ્યાત્મિક નેટવર્ક સંસ્થાના સ્થાપક અને પ્રેરક છે.વિશ્વના લગભગ 15 દેશોમાં વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)ની સ્થાપના કરવામાં આવી છે. વિશ્વભરના 5 કરોડ વૈષ્ણવોને એક કરવા માટે આ પરમ પવિત્રતાની પહેલ છે. તેઓ તેમની દ્રષ્ટિ અને માર્ગદર્શન સાથે, વિશ્વભરમાં 30 હવેલીઓ/સંકુલોમાં લાખો લોકોને પ્રેરણા આપી રહ્યા છે. તેમના દ્વારા 200,000 થી વધુ વૈષ્ણવોએ બ્રહ્મસંબંધ લીધો છે. તેમના દ્વારા સમગ્ર વિશ્વમાં 250 થી વધુ કથાઓનું પઠન કરવામાં આવ્યું છે. ઘણા લોકોએ તેમની કથાથી પ્રેરિત થઈને વ્યસન છોડ્યું છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમને નાગરિક બેંક દ્વારા 11 લાખનું અનુદાન
રાજકોટ નાગરીક બેંક લી. દ્વારા અગાઉથી ઘોષિત થયેલું 11 લાખનું અનુદાન રાજકોટ નાગરીક બેંક લી. ના સર્વે સતાધીશોએ સામાજિક ઉતરદાયિત્વનાં ભાગરૂૂપે દિનેશભાઈ પાઠક (ચેરમેન), ડાયરેકટરો જયોતીબેન ભટ્ટ, ચંદ્રેશભાઈ ધોળકીયા, હસુભાઈ ચંદારાણા, બ્રિજેશભાઈ મલકાણ, મૌલીકભાઈ શાહ, અશોકભાઈ ગાંધી તથા પૂર્વ ડાયરેકટર હંસરાજભાઈ ગજેરા, દેવાંગભાઈ માંકડ, એડવોકેટ ડો. માધવ દવે દ્વારા સદભાવના વૃધ્ધાશ્રમનાં શુભાર્થે યોજાયેલ મોરારિબાપુની વૈશ્વિક માનસ સદ્ભાવના રામકથામાં પધારી સદ્ભાવના વૃદ્ધાશ્રમનાં વડીલોની સેવા માટે બેંક દ્વારા અગાઉથી ઘોષિત થયેલું 11 લાખનું અનુદાન અપાયું. રાજકોટ નાગરીક બેંક લી. ના આ પ્રેરણાદાયી અનુદાનથી વૃદ્ધાશ્રમના વૃદ્ધોના કલ્યાણ માટેનાં આ સારા કાર્યને પ્રોત્સાહન મળશે.
ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા તરફથી સદભાવના વૃદ્ધાશ્રમને રૂા.1 કરોડનું અનુદાન
માનસ સદભાવના રામકથાના આઠમા દિવસના પ્રારંભે સુરતના ઉધ્યોગપતિ અને સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા તરફથી 1 કરોડ રૂૂપિયા, નડિયાદ સંતરામ મંદિર તરફથી રૂૂપિયા 11 લાખ, કલ્પસર સરોવર સમિતિ તરફથી 11,11,111 નું અનુદાન પ્રાપ્ત થયું.
આ તકે (ડો.) પરમાત્માનંદ સરસ્વતીજી જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં જેમ જલારામબાપાનું મંદિર અન્નદાન માટે વિખ્યાત છે તેમ નડિયાદમાં સંતરામ મંદિર વિખ્યાત છે. આજે તેમના સંતોએ અહી પધારી સદભાવના વૃદ્ધાશ્રમને રૂૂપિયા 11 લાખનું અનુદાન આપ્યું છે.
કલ્પસર સરોવર સમિતિના અધ્યક્ષ વિનુભાઈ ગાંધીએ તેમણે મળેલા 11 લાખના અનુદાનમાં 1,111 ઉમેરી સદભાવના વૃદ્ધાશ્રમને એનાયત કર્યા તો સુરતના ઉધ્યોગપતિ સવજીભાઈ ધોળકીયાએ 1 કરોડ રૂૂપિયાનું અનુદાન આપ્યું. વિનુભાઈ ગાંધીએ આ તકે જણાવ્યું કે સૌરાષ્ટ્ર કચ્છની જળ સમસ્યાનો એક જ વિકલ્પ કલ્પસર યોજના છે. આપણે વડાપ્રધાનને વિનંતી કરીએ કે તેઓ આ યોજનાનો વહેલી તકે ખાત મુહૂર્ત કરે. આપણે સૌ માંગણી નહીં પણ સહયોગ કરીએ.