બાબરાના ગરણીમાં ગુંદાળા રોડ પર આવેલા ભામણીયો વોકળામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ગરણી ગામનાના ભરતભાઈ જીવરાજભાઈ ઘરેથી નીકળ્યા બાદ રાત્રે 10 વાગ્યા સુધી ઘરે પરત ન આવતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા. ભરતભાઈ ઘરે ન આવતા તેમના પરિવારે આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી. આ દરમિયાન ગુંદાળા રોડ પર આવેલા વોકળા પાસે ભરતભાઈનું બાઈક મળી આવ્યું હતું. નજીક જઈ તપાસ કરતા બાઈક પાસે ભરતભાઈનું શર્ટ તથા કેટલાક ખુલ્લા રૂૂપિયા પણ મળ્યા હતા. ભરતભાઈનું પાણીમાં પડી ગયા હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી.
આ અંગે પોલીસની 112ની ટીમને જાણ કરવામાં આવી હતી. બાબરા પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ અને તરવૈયાઓ દ્વારા વોકળામાં પાણી ભરાયેલા સ્થળે ભરતભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન અંતે ભરતભાઈ જીવરાજભાઈનો મૃતદેહ પાણી ભરેલા વોકળામાંથી મળી આવ્યો હતો. આ ઘટના આત્મહત્યા છે કે અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી મોત થયું છે તે અંગે બાબરા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
