દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે મહિલા કુસ્તીબાજોના યૌન શોષણ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને પૂર્વ WFI સચિવ વિનોદ તોમરને તમામ આરોપોમાં સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા છે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અશ્વિની પંવારે આજે સવારે ચુકાદો સંભળાવ્યો. આ દરમિયાન કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ અને ભારતીય કુસ્તી સંઘ (WFI)ના પૂર્વ સચિવ વિનોદ તોમર કોર્ટમાં હાજર રહ્યા હતા.
2 જુલાઈ 2026ના રોજ બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલો જાન્યુઆરી 2023માં સામે આવ્યો હતો. ત્યારથી અત્યાર સુધીમાં કુલ 1133 દિવસમાં કોર્ટમાં 127 સુનાવણી થઈ છે. જેમાં 2023માં 24, 2024માં 37, 2025માં 30 અને 2026માં 36 સુનાવણીનો સમાવેશ થાય છે.
બ્રિજભૂષણ 20 જુલાઈ 2023થી નિયમિત જામીન પર હતા. 10 મે 2024ના રોજ કોર્ટે દિલ્હી પોલીસની ચાર્જશીટના આધારે આરોપો ઘડ્યા હતા, ત્યારબાદ ટ્રાયલ શરૂ થઈ હતી.
નિર્દોષ જાહેર થયા પછી, બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, “હું હમણાં આ અંગે કંઈ કહીશ નહીં. કોર્ટે મને ત્રણ વર્ષ પછી નિર્દોષ જાહેર કર્યો છે. મેં ત્યારે કહ્યું હતું કે આ એક ષડયંત્ર હતું, અને મેં જે કહ્યું તે સાચું સાબિત થયું છે. મને મારી જાત પર વિશ્વાસ હતો. મને સામે વાળાની ખબર નથી, પણ હું જાણતો હતો. મેં ક્યારેય મારી જાતને ગુનેગાર માન્યો નહીં. અમે એવા લોકો માટે લડી રહ્યા હતા જેમના અધિકારોનો ઇનકાર કરવામાં આવી રહ્યો હતો. તે લડાઈ લડ્યા પછી અને તેમાંથી બહાર આવ્યા પછી, તે રમતવીરો હવે વૈશ્વિક મંચ પર પોતાની છાપ છોડશે.”
