રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જફેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ જોષીએ ડિસ્ચાર્જ અરજી મુક્તા કરતા હવે આ બાબતે માત્ર ચાર આરોપીની અરજી ઉપર 3જી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે એમ મનાય છે. આ કેસની હકીકત મુજબ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત 27 લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવને ગંભીરતાથી લઇ ટીઆરપી ગેમઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા અધિકારીઓ સહિતના સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.
ચાર્જશીટ થયા બાદ સેશન્સ અદાલતમાં ગઇ તા. 19 ડિસેમ્બરની મુદતે ટી.પી.ઓ. સાગઠીયા, એ.ટી.પી.ઓ. મુકેશ રામજી મકવાણા અને જયદીપ ચૌધરીએ કેસ ચાર્જફેમ થાય તે પહેલા તહોમતમાંથી બિનતહોમત (ડિસ્ચાર્જ) કરી છોડી મુકવા અરજીઓ દાખલ કરવામાં આવતા ત્રણેય આરોપીઓ ઉપરાંત હજુ વધુ આરોપીઓ પણ પોતાની સામેનું તહોમત પડકારી કેસ ચાર્જફ્રેમ થાય તે પહેલા ડિસ્ચાર્જ અરજીઓ લાવી કેસ લંબાવવા કોશિશ ન કરે જે ધ્યાને લઇ કોર્ટે ડિસ્ચાર્જ અરજી કરવા માંગતા અન્ય આરોપીઓને આજે તા. 26 મી ડિસેમ્બર સુધીમાં અરજી કરવા મૌખિક આદેશ કરાયો હતો, તેમાં આજે તારીખ 26એ અન્ય 12 આરોપીઓ પૈકી માત્ર એક આરોપી એટીપીઓ ગૌતમ દેવશંકર જોષી દ્વારા અગ્નિકાંડ કેસમાંથી ડિસ્ચાર્જ કરતા હવે ચારેય અરજીમાં 3જી જાન્યુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે એમ મનાય છે. આ કેસમાં સ્પે.પી.પી. તુષાર ગોકાણી, એડી. સ્પે.પી.પી. નીતેશ કથીરીયા, ભોગ બનનાર પરીવાર વતી રાજકોટ બાર એશો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, અને એન.આર.જાડેજા રોકાયા છે.