રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીએ પોતાનો 31મો જન્મદિવસ જામનગરમાં આવેલા અંબાણી પરિવારના નિવાસસ્થાને પરંપરાગત અને આધ્યાત્મિક વાતાવરણમાં ઉજવ્યો. આ અવસરે નીતા અંબાણીએ આખા કાર્યક્રમનું નેતૃત્વ કરતાં ભજન સત્રનું આયોજન કર્યું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. અંબાણી પરિવારની સંસ્કૃતિ અને પરંપરાઓને વળગી રહેવાની ભાવના અનુસાર આ જન્મદિવસની ઉજવણીને વધુ સાદી અને આધ્યાત્મિક સ્વરૂૂપ આપવામાં આવ્યું હતું. આ દરમિયાન બોલિવુડ અભિનેતા રણવીર સિંહ અને જાન્હવી કપૂર સહિત પરિવારના નજીકના મિત્રો પણ હાજર રહ્યા હતા.
અંબાણી પરિવારે આ અવસરને માત્ર પારિવારિક ઉજવણી સુધી મર્યાદિત ન રાખતાં સમાજસેવાના કાર્યો સાથે પણ જોડ્યો છે. અનંત અંબાણીના જન્મદિવસની યાદમાં ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થળો જેમ કે દ્વારકા, સોમનાથ, અંબાજી અને સાળંગપુરમાં યાત્રાળુઓ માટે માળખાકીય વિકાસ, ગૌશાળાઓની સ્થાપના, શૈક્ષણિક સુવિધાઓ, સામુદાયિક ભોજન અને અન્ય 31 સખાવતી પહેલોની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવૃત્તિઓથી આશરે 57 લાખથી વધુ લોકોને લાભ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ આસપાસના ગામડાઓમાં ભોજન સમારંભ અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેણે સ્થાનિક વસ્તીને જન્મદિવસની ઉજવણીમાં સામેલ કર્યા.
