અલ્પેશ ઠાકોર V/S અભિજિતસિંહ, ઠાકોર સેનામાં જૂથવાદ?

મહેસાણામાં અભિજિતસિંહના શક્તિ પ્રદર્શન બાદ માનપુરના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનો આકરા જવાબ ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતી ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના ટોચના અગ્રણીઓ વચ્ચેનો આંતરિક ખટરાગ…

મહેસાણામાં અભિજિતસિંહના શક્તિ પ્રદર્શન બાદ માનપુરના સંમેલનમાં અલ્પેશ ઠાકોરનો આકરા જવાબ

ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ધરાવતી ક્ષત્રિય ઠાકોર સેના અને સમાજના ટોચના અગ્રણીઓ વચ્ચેનો આંતરિક ખટરાગ હવે જાહેરમાં સપાટી પર આવી ગયો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. મહેસાણામાં ઠાકોર સેનાના પ્રમુખ અભિજિતસિંહ બારડના શક્તિ પ્રદર્શન બાદ, હવે ભાજપના ધારાસભ્યે વળતો જવાબ આપ્યો છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના માનપુર ખાતે યોજાયેલા ઠાકોર સમાજના એક વિશાળ સંમેલનને સંબોધતા અલ્પેશ ઠાકોરે કોઈનું પણ નામ લીધા વગર પોતાના જ સમાજના નેતાઓ પર આકરા શબ્દભેદી બાણ છોડ્યા હતા, જેનો સીધો ઈશારો અભિજિતસિંહ તરફ હોવાનું મનાય છે.

અલ્પેશ ઠાકોરે મંચ પરથી આક્રમક તેવર બતાવતા કહ્યું હતું કે, “જ્યારે સમાજ સંગઠિત થઈ રહ્યો હોય અને એકતાની વાત થતી હોય, ત્યારે તેમાં રાજનીતિ કેમ ઘૂસાડવામાં આવે છે? દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે કેટલાક લોકો સમાજના પવિત્ર કાર્યક્રમોને પણ માત્ર રાજકારણના ચશ્માથી જુએ છે.” તેમણે વધુમાં કટાક્ષ કરતા ઉમેર્યું હતું કે અમુક લોકોને સતત એવો ડર સતાવી રહ્યો છે કે જાણે તેમની રાજનીતિ લૂંટાઈ જશે. અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપતા કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ કે સમૂહ સમાજ માટે સારું કામ કરી રહ્યું હોય, તો તેને દિલથી અભિનંદન આપવા જોઈએ, પરંતુ તેના કામમાં અવરોધ રૂૂપ ન બનવું જોઈએ.”

આ નિવેદનોનો સંદર્ભ મહેસાણામાં બનેલી તાજેતરની ઘટનાઓ સાથે જોડવામાં આવી રહ્યો છે. અલ્પેશ ઠાકોરના આ સંમેલન પહેલા જ મહેસાણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અભિજિતસિંહ બારડની આગેવાનીમાં એક મોટું ’શક્તિ પ્રદર્શન’ યોજાયું હતું. ખેરાલુના મલેકપુરથી અંબાજી સુધી ’શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા’ યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. અંબાજીમાં ધજા ચડાવીને ભવાની ધામ નિર્માણનો સંકલ્પ લેવાયો હતો. આ પ્રસંગે અભિજિતસિંહે નિવેદન આપ્યું હતું કે, “ભવાની ધામ ભવિષ્યમાં સમાજ માટે એક ’પાવર હાઉસ’ બની રહેશે અને ક્ષત્રિય સમાજ સનાતન ધર્મને જીવંત રાખવા બલિદાન આપવા કટિબદ્ધ છે.”

આમ, એક તરફ અભિજિતસિંહની સંકલ્પ યાત્રા અને બીજી તરફ બાયડમાં અલ્પેશ ઠાકોરના પ્રહારો સૂચવે છે કે ઠાકોર સેનામાં નેતૃત્વને લઈને ક્યાંકને ક્યાંક શીતયુદ્ધ ચાલી રહ્યું છે. આ રાજકીય ગરમાવા વચ્ચે પણ અલ્પેશ ઠાકોરે પોતાના મૂળ સામાજિક એજન્ડાને ભૂલ્યા ન હતા. તેમણે મંચ પરથી સમાજના યુવાનોને ફરી એકવાર વ્યસન મુક્ત રહેવા અપીલ કરી હતી. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે સમાજના સાચા ઉત્થાન માટે દારૂ અને અન્ય વ્યસનોથી દૂર રહેવું અનિવાર્ય છે.

આજે નહીં તો કાલે હું રાજકારણમાં જોડાઇશ, વિક્રમ ઠાકોરની જાહેરાત

ગુજરાતમાં આવતાં વર્ષે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એક મોટી રાજકીય હલચલ જોવા મળી છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો દિલોની ધડકન વિક્રમ ઠાકોરે અંબાજીના પવિત્ર ધામમાં માતાજીના દર્શન કર્યા બાદ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. અંબાજી ખાતે આયોજિત ’ભવાની ધામ સંકલ્પ યાત્રા’ના પ્રસંગે જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે, “આજે નહીં તો કાલે, હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ.” આ કાર્યક્રમ અંબાજીના ભગવતી પાર્ટી પ્લોટમાં યોજાયો હતો, જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે ક્ષત્રિય નેતા અભિજિત સિંહ બારડ સહિત અનેક દિગ્ગજ ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની હાજરીમાં વિક્રમ ઠાકોરે જ્યારે રાજકારણ માં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ઉપસ્થિત જનમેદનીએ ભારે હર્ષનાદ સાથે તેમને વધાવી લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *