પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં નાસભાગ મચી જતાં 15થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે અમદાવાદથી GSRTCની ઉપડેલી બે બસોને મોટું અપડેટ સામે આવ્યું છે. ગુજરાતની મહાકુંભમાં સ્નાન કરવા માટે ગયેલા તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાની અમદાવાદ ડેપો મેનેજરે પુષ્ટિ કરી છે. અમદાવાદ ડેપો મેનેજરે જણાવ્યું હતું કે અમદાવાદથી પ્રસ્થાન કરેલી જી.એસ.આર.ટી.સી.ની બે વોલ્વો બસ પ્રયાગરાજ પોંચી ગઇ છે. આ બસમાં સવાર તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત છે. અમદાવાદ ડેપો મેનેજર બંને વોલ્વો બસ સાથે પ્રયાગરાજમાં તેમની સાથે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બસ કેન્સલ કે પછી બુકિંગ કેન્સલ અંગે કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
છેલ્લા દિવસ સુધીના તમામ બુકિંગ એડવાન્સમાં ફૂલ થઇ ગયા છે. હાલમાં કોઇ ચિંતા કરવાની જેવો માહોલ નથી. GSRTCના અધિકારીના જણાવ્યા અનુસાર આજે વહેલી સવારે GSRTCની પહેલી બસ પ્રયાગરાજ પહોંચી હતી.
ભારે ટ્રાફિક જામને કારણે બસ બહારના વિસ્તારમાં પાર્ક કરવામાં આવી છે. મેં આંતરિક અવરજવર માટે GSRTCની બસની વ્યવસ્થા કરી હતી. મુસાફરો નજીકના ઘાટ પર સ્નાન કરી રહ્યા છે અને પરત ફરવા માટે સીધા બસ પાર્કિંગમાં પાછા ફરશે. અમારા મુસાફરો સાથે કોઈ આપત્તિ સંબંધિત સમસ્યા નથી. હું અને અમારી એડવાન્સ ટીમ પ્રયાગરાજ પહોંચી ગઈ છે, અમે બધા મુસાફરો સાથે સતત સંપર્કમાં છીએ.
25 જાન્યુઆરીએ પ્રથમ બસને લીલીઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. હાલ યાત્રીકોમાં પણ મહાકુંભમાં જવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહાકુંભમાં બનેલી ઘટનાને લઈ અફવા નહીં ફેલાવવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
