રામ મંદિરના વિવાદ વચ્ચે મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં ફરી એકવાર દાન અને આવકની છેતરપિંડીનો ગંભીર આરોપ લાગ્યો છે. શ્રીકૃષ્ણ જન્મભૂમિ આંદોલન સાથે જોડાયેલા સંત દિનેશ ‘ફળાહારી’ મહારાજે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પોતાના લોહીથી પત્ર લખીને આ મામલે CBI તપાસની માંગ કરી છે.
ફળાહારી મહારાજે પત્રમાં આરોપ લગાવ્યા છે કે મંદિરમાં ભક્તો દ્વારા કરવામાં આવતા દાનની યોગ્ય રીતે નોંધણી થતી નથી. દાનપેટીઓ અને તિજોરીઓ ખોલતી વખતે સર્વેલન્સ કેમેરા બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત સોના-ચાંદીના દાનનું પણ યોગ્ય હિસાબ નથી રાખવામાં આવતું. ‘છપ્પન ભોગ’ જેવી વ્યવસ્થામાં 70 ટકા સુધી કમિશન લેવાના આરોપ પણ લગાવવામાં આવ્યા છે.
સંતે એમ પણ કહ્યું છે કે મંદિરના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓએ અચાનક મોટી સંપત્તિ જમાવી છે અને નૈનીતાલ તેમજ દિલ્હીમાં મોંઘા મકાનો અને વાહનો ખરીદ્યાં છે. તેમણે આ અધિકારીઓની સંપત્તિની તપાસ કરવાની પણ માંગ કરી છે. ફળાહારી મહારાજે ચેતવણી આપી છે કે જો આ મામલે કાર્યવાહી ન કરવામાં આવી તો તેઓ હાઈકોર્ટનો સંપર્ક કરશે. તેમણે પોતાની સુરક્ષા માટે પણ અરજી કરી છે. આ આરોપોએ એક વખત ફરીથી મંદિરના દાન અને વ્યવસ્થાપનના મુદ્દે ચર્ચા શરૂૂ કરી દીધી છે.
