મોચી બજારમાં અજાણ્યા આધેડનું બેભાન હાલતમાં મોત : વાલી વારસની શોધખોળ
શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રહેતી પરિણીતા તળાવના કાંઠે કપડાં ધોતી હતી ત્યારે અકસ્માતે પગ લપસતા તળાવમાં પટકાઈ હતી. પરિણીતાનું ડૂબી જવાથી મોત નીપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના નવાગામમાં રહેતી હેતલબેન ધનજીભાઈ સુમારખાણીયા નામની 35 વર્ષની પરિણીતા બપોરના ચારેક વાગ્યાના અરસામાં નવાગામમાં આવેલા તળાવના કાંઠે કપડાં ધોતી હતી ત્યારે હેતલબેન સુમારખાણીયાનો પગ લપસી જતા અકસ્માતે તળાવમાં પટકાઈ હતી. તળાવમાં પડી ગયેલા હેતલબેન સુમારખાણીયાનું ડૂબી જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પ્રાથમિક પૂછપરછમાં હેતલબેનને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે.
આ ઉપરાંત બીજા બનાવવામાં શહેરમાં મોચી બજાર વિસ્તારમાંથી અજાણ્યા આધેડ બેભાન હાલતમાં મળી આવતા 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા એ ડિવિઝન પોલીસે નોંધ કરી મૃતક અજાણ્યા આધેડના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.