માલધારી સમાજમાં ફફડાટ, સરપંચે પશુ ચિકિત્સકને જાણ કરી
ભુજ તાલુકાના મેઘપર ગામ પાસેના મુક્તનગર જીવન રબારીવાસ પાસે આવેલા માલધારીના એક વાડા પર શનિવારની રાત્રિ દરમ્યાન કોઇ હિંસક જંગલી જાનવરે હુમલો કરી 51 ઘેટાં અને ચાર બકરીને એકીસાથે મોતના ઘાટે ઉતારી દેતાં જીણા માલધારીની આ વસાહત અને પંથકમાં ભારે હાહાકાર ફેલાયો છે. નારાણપર નજીકના મેઘપર ગામ પાસે આવેલા મુક્તનગર જીવન નામક રહેણાક વિસ્તાર મોટાભાગે જીણા-જાડા માલધારી રબારી લોકોનો વસવાટ છે જેમાં લગભગ પરિવારો ઘેટાં, બકરાં, ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓના ઉછેર કરી જીવન ગુજારો કરે છે.
આ વસાહત નજીક જ આ માલધારીઓનાં પશુઓની સારસંભાળ અને સુરક્ષા માટે વાડાઓ બનાવવામાં આવ્યા છે જેમાં રાત્રિના ભાગે પશુઓને પૂરી રાખવામાં આવ છે. આ વાડાઓ પૈકી ગત શનિવારના રાત્રે રબારી રાજાભાઇ સોમાભાઇએ પોતાના 125 જેટલા ઘેટાં-બકરાંને વાડા પુરી વાડા બહાર પોતાના પુત્ર વજાભાઇને સુવડાવી ગયા હતા.
એ રાત્રિ દરમ્યાન આ વાડા વિસ્તારની નજીક આવેલી ચાડવા રખાલમાંથી કોઇ હિંસક જાનવર આ વાડાને નિશાન બનાવી તેમાં ઘૂસ્યો હતો જેમાં પુરાયેલ જીણો માલ પૈકી 51 સગર્ભા માદા ઘેટા અને 4 સગર્ભા બકરીઓનું ગળુ પકડી મોતને ઘાટ ઉતારી દીધો હતો. વહેલી સવારે માલધારી રાજાભાઈ રબારી આવી વાડાનો ઝાંપો ઉઘાડી જોયું તો અનેક ઘેટા-બકારં મૃત હાલતમાં નજરે ચડયાં હતાં. ભારે દુ:ખી દિલે આ માલધારીએ બાજુમાં સુતેલા પોતાના પુત્રને જગાડી ગામમાં જઈ પોતાના પશુઓ પર થયેલાં હુમલાં અંગેની જાણકારી આપી હતી. સવારના અનેક ગામજનો અને માલધારીઓ વાડા પર દોડી આવતાં વાડામાં મરેલાં અનેક પશુઓ નજરે ચડયાં હતાં.
