રાજકોટના સરધાર ગામે આવેલા ગોપાલનગરમાં રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ નજીક ભાવનગર રોડ ઉપર આવેલા સરધાર ગામે ગોપાલનગરમાં રહેતી અને ધો.11માં અભ્યાસ કરતી જેનીશા હરેશભાઈ પાટડીયા નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી. ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે ઘટનાની જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી સગીરાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જેનીશા પાટડીયા એકના એક ભાઈની એકની એક બહેન હતી અને ધો.11 માં અભ્યાસ કરતી હતી. પરિવાર ઘરે હાજર ન હતો ત્યારે જેનીશા પાટડિયાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો અને તેનો ભાઈ ઘરે આવતા જેનીશાનો મૃતદેહ લટકતો જોઈ જતા પરિવારજનોને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજીડેમ પોલીસે નોંધ કરી વિદ્યાર્થીનીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.