શહેરમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતા અને ધો.10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું. સગીરના આપઘાતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, માંડાડુંગર વિસ્તારમાં આવેલા ભીમરાવનગરમાં રહેતાં અને ધો.10માં અભ્યાસ કરતાં હિમાંશુ કમલેશભાઈ શેખવા નામનો 17 વર્ષનો સગીર સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે અકળકારણોસર ઝેરી દવા પી લીધી હતી. સગીરની તબીયત લથડતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સારવાર કારગત નિવડે તે પૂર્વે જ સગીરે હોસ્પિટલના બીછાને દમ તોડી દેતાં પરિવારમાં કરૂણકલ્પાંત સર્જાયો હતો.
મૃતક સગીર બે ભાઈમાં મોટા અને ધો.10માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત બીજા બનાવમાં ત્રિકોણબાગ નજીક બોમ્બે હોટલ પાસે ગુલાબ અહેમદ મોહંમદ શેખ નામના 67 વર્ષના વૃધ્ધ રાત્રીનાં સમયે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતાં. વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. વૃધ્ધનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાની શંકા સેવાઈ રહી છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
