દરિયામાં આવેલ બાણગંગા શિવલિંગમાં આંખ જેવી આકૃતિ દેખાતા કૃતૂહલવશ દર્શન માટે ભીડ ઉમટી, પોલીસે માંડ ટોળા વિખેર્યા
વેરાવળના ભીડિયા ખાતે આવેલા બાણગંગા શિવલિંગને લઈને એક ચર્ચાએ અચાનક જોર પકડતાં મોડીરાત્રે દરિયાકાંઠે મોટી સંખ્યામાં લોકો ઉમડી પડ્યા હતા. શિવલિંગ પર ’શિવજીની આંખ’ દેખાતી હોવાની વાત ફેલાતા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આ વાતને કેટલાક લોકોએ ચમત્કાર સાથે જોડતાં ભીડિયા ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો દર્શન માટે સ્થળ પર ઉમટી પડયા હતા.
શિવલિંગ દરિયાના પાણીમાં હોવાથી તેને નજીકથી જોવા માટે અનેક શ્રદ્ધાળુઓ સમુદ્રમાં ઉતરી ગયા હતા. દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો શિવલિંગ સુધી પહોંચવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકસાથે પાણીમાં ઉતરતાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાવાની શક્યતા ઊભી થઈ હતી. સ્થિતિની ગંભીરતા ધ્યાનમાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમુદ્રથી દૂર કર્યા હતા.
બાણગંગા શિવલિંગ પર આંખ જેવી આકૃતિ દેખાયાની વાત લોકોમાં ઝડપથી પ્રસરી હતી. આ ચર્ચા બાદ શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી ગઈ હતી. લોકો માટે આ ધાર્મિક આસ્થાનો વિષય બન્યો હતો અને ઘણા લોકો શિવલિંગના દર્શન કરવા માટે દરિયાના પાણીમાં આગળ વધ્યા હતા.
જોકે ’શિવજીની આંખ’ દેખાઈ હોવાની વાત અંગે હાલ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. શિવલિંગ પર ખરેખર કોઈ વિશિષ્ટ આકૃતિ દેખાઈ હતી કે પછી કુદરતી રચના, પાણીના પ્રવાહ, પ્રકાશ અથવા અન્ય કોઈ કારણસર આવો આકાર જોવા મળ્યો હતો તે અંગે પણ હાલમાં સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. તેથી આ ઘટનાને ચમત્કાર તરીકે રજૂ કરવાને બદલે તેને હાલની સ્થિતિમાં માત્ર ચર્ચા અથવા અફવા તરીકે જ જોવી જરૂૂરી છે.
ભીડિયા ખાતેની ઘટનામાં સૌથી ચિંતાજનક બાબત એ હતી કે ’શિવજીની આંખ’ જોવાની ઉત્સુકતામાં લોકો ભારે કરંટ ધરાવતા દરિયામાં ઉતરી ગયા હતા. દરિયાની સ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે અને પાણીમાં રહેલો કરંટ વ્યક્તિને અચાનક ઊંડા પાણી તરફ ખેંચી શકે છે. ખાસ કરીને મોટી ભીડ હોય ત્યારે એક વ્યક્તિને મુશ્કેલી પડે તો બચાવ કામગીરી પણ મુશ્કેલ બની શકે છે.
આ સ્થિતિ વચ્ચે શ્રદ્ધાળુઓ શિવલિંગ સુધી પહોંચતા રહ્યા હતા. ધાર્મિક આસ્થાને કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ દરિયાની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં પાણીમાં ઉતરવું જોખમી બની શકે છે. કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ પોલીસ દ્વારા લોકોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
