નિત્ય ક્રમ મુજબ સેવા પૂજા કરવા ગયેલા આધેડને આવેલો હાર્ટ એટેક જીવલેણ નિવડ્યો
રાજકોટમાં રેલનગર વિસ્તારમાં રહેતા આધેડ નિત્ય ક્રમ મુજબ મહાદેવના મંદિરે સેવા પૂજા કરવા ગયા હતા. તે દરમિયાન આધેડને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતા. આધેડને આવેલો હાર્ટએટેક જીવલેણ નીવડતા પરિવારમાં કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રેલનગરમાં રહેતા રાજેન્દ્રસિંહ હેંમતસિંહ જાડેજા નામના 57 વર્ષના આધેડ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામા ઘર પાસે આવેલા મહાદેવના મંદિરે હતા.
ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી રાજેન્દ્રસિંહ જાડેજાને હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનું જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક રાજેન્દ્રસિંહ જાડેજા મુળ ખાખરા ગામના વતની અને બે ભાઇ એક બહેનમાં મોટા હતા. રાજેન્દ્રસિંહ જાડેજા નિત્ય ક્રમ મુજબ દરરોજ મંદિરે દર્શન અને સેવા પૂજા કરવા જતા હતા અને તેમનુ મહાદેવના મંદિર ખાતે જ હાર્ટએટેકથી મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ અંગે પ્ર.નગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
