શહેરમાં આવેલા ભગવતીપરા વિસ્તારમાં રહેતાં શ્રમિક યુવાને આર્થિક ભીંસથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ભગવતીપરા વિસ્તારમાં આવેલ વિનોબાભાવે ટાઉનશીપમાં રહેતાં અનમોલ રામદાસભાઈ પાટીલ નામનો 38 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન મુળ મહારાષ્ટ્રનો વતની અને ત્રણ ભાઈ બહેનમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર છે. મૃતક યુવાન મેટોડા કંપનીમાં કામ કરતો હતો. આર્થિક ભીંસથી કંટાળી આત્મઘાતી પગલું ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત બીજા બનાવમાં ખોડીયારનગર વિસ્તારમાં રહેતાં શિવમ આત્મારામ વિશ્ર્વકર્મા નામનો 25 વર્ષનો ઉત્તરપ્રદેશનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. યુવકના મોતથી શ્રમિક પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મૃતક યુવાન બે ભાઈ બે બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
