યુગલોની સ્વતંત્રતાનું રક્ષણ કરવું રાજ્યની જવાબદારી, દંપતીને સુરક્ષા આપવા આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટે અલીગઢના એક યુગલની અરજી પર સુનાવણી કરતા સ્પષ્ટ કર્યું કે જ્યારે બે પુખ્ત વ્યક્તિ પોતાની મરજીથી લગ્ન કરે છે, ત્યારે પરિવાર તેને ’પ્રતિષ્ઠા’નો પ્રશ્ન બનાવી દખલ કરી શકે નહીં. જસ્ટિસ જે.જે. મુનીર અને જસ્ટિસ તરુણ સક્સેનાની બેન્ચે અવલોકન કર્યું કે સ્વતંત્ર ઈચ્છાથી જીવનસાથી પસંદ કરવો એ બંધારણીય અધિકાર છે અને રાજ્યની જવાબદારી છે કે આવા યુગલોના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ કરે.
આર્ય સમાજ મંદિરમાં લગ્ન કરનાર આ યુગલે પરિવાર તરફથી ’ઓનર કિલિંગ’ અને ખોટા કેસનો ભય વ્યક્ત કર્યો હતો. કોર્ટે અલીગઢ જજઙને દંપતીની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. વધુમાં, યુવતીના પરિવારને દંપતીના જીવનમાં દખલ કરવા, તેમના ઘરે પ્રવેશવા કે સોશિયલ મીડિયા/ફોન દ્વારા સંપર્ક કરવા પર સખત મનાઈ ફરમાવી છે.
હાઈકોર્ટે વચગાળાની રાહત આપતા યુગલની ધરપકડ પર રોક લગાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે વહીવટીતંત્રે પરિવાર તરફથી આવતા કોઈપણ જોખમ સામે રક્ષણ પૂરું પાડવું જોઈએ. કોર્ટે પક્ષકારોને બે અઠવાડિયામાં જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે અને આ કેસની આગામી સુનાવણી 8 એપ્રિલના રોજ નિયત કરવામાં આવી છે. હાઈકોર્ટે તેના નિરીક્ષણમાં કહ્યું હતું કે બે પુખ્ત વ્યક્તિના લગ્ન ખરેખર તો સન્માનનો વિષય છે. હાઈકોર્ટે નવ પરણેલા યુવક-યુવતીને સંપૂર્ણ સુરક્ષા પ્રદાન કરવા પોલીસ તંત્રને પણ હુકમ કર્યો હતો.
