ભારતે બે વર્ષથી પણ ઓછા સમયગાળામાં બીજો ટી-20 વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચી દીધો. સૂર્યકુમાર યાદવની ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી 20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને રીતસર કચડી જ નાંખ્યું. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને ભારતને પહેલાં બેટિંગ આપેલી પણ અભિષેક શર્મા, સંજુ સેમસને શરૂૂઆતની ઓવરોમાં તોફાની બેટિંગ કરીને ન્યૂ ઝીલેન્ડને અહેસાસ કરાવી દીધેલો કે, તમે ટીમ ઈન્ડિયાના યંગસ્ટર્સને આંકવામાં થાપ ખાઈ લીધી છે.
પાછળથી ઈશાન કિશને અને છેલ્લે શિવમ દુબેએ તડાફડી કરીને 255 રનનો સ્કોર ખડક્યો પછી બોલરોએ મોરચો સંભાળી લીધો. ન્યૂઝીલેન્ડનો કિલ્લો ધરાશાયી કરવાની શરૂૂઆત અક્ષર પટેલે કરી ને પછી જસપ્રિત બૂમરાહ ચડી બેઠો તેમાં ન્યૂ ઝીલેન્ડ પૂરી 20 ઓવર પણ ના રમી શક્યું ને 159 રનમાં તો ધરાશાયી થઈ ગયું. ભારતે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં સૌથી મોટા 96 રનના માર્જિનથી ચેમ્પિયન બનીને રેકોર્ડ્સની વણઝાર કરી નાંખી. ભારત સારું રમ્યું તેથી ચેમ્પિયન બન્યું એ દેખીતું છે પણ વાસ્તવમાં ટીમ ઈન્ડિયા ફાઈનલના પહેલા બોલથી જ ચેમ્પિયનની જેમ રમ્યું. ભારતે 15 ઓવરમાં તો 200 રનનો સ્કોર પાર કરી દીધો હતો. તેના પરથી જ ભારતના શરૂૂઆતના બેટ્સમેન કેવા પ્રભુત્વ સાથે રમ્યા એ સ્પષ્ટ છે. આઈપીએલમાં પણ આવી બેટિંગ નથી જોવા મળતી.
ન્યૂઝીલેન્ડના નિશામે મેચની 16મી ઓવરમાં માત્ર 1 રન આપીને ભારતના ત્રણ બેટ્સમેનને આઉટ કર્યા પછી ભારત થોડુંક દબાણમાં આવેલું તેથી સાવચેતીપૂર્વક રમ્યું. આ કારણે 16મીથી 19મી ઓવર સુધીમાં ચાર ઓવરમાં ભારતે 28 રન જ કર્યા. આ 4 ઓવરમાં ભારતે કુલ 4 વિકેટ પણ ગુમાવી. આખી ફાઈનલમાં આ ચાર ઓવર દરમિયાન ન્યૂ ઝીલેન્ડ ઈન્ટરનેશનલ ક્રિકેટ રમતી ટીમ હોય એવું લાગેલું, બાકી ભારતે ન્યૂ ઝીલેન્ડને સાવ વામણી ટીમ સાબિત કરતી રમત બતાવી.
આ જીત સાથે ભારતીય ક્રિકેટ એક નવા યુગમાં પ્રવેશ્યું છે કેમ કે ભારતે છેલ્લી ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ્સ જીતી છે. 2024માં ટી-20 વર્લ્ડ કપ, 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી અને હવે 2026માં ફરી ટી 20 વર્લ્ડ કપ જીતીને ભારતીય ટીમે જીતની હેટ-ટ્રિક કરી છે. ભારત માટે અસલી પડકાર આ વર્ચસ્વ જાળવી રાખવાનો છે. ભૂતકાળમાં 1980ના દાયકામાં વેસ્ટ ઈન્ડિઝ અને પછી 2000ના દાયકામાં ઓસ્ટ્રેલિયાનો વિશ્વ ક્રિકેટમાં સંપૂર્ણ દબદબો હતો. ભારતે જીતની હેટ-ટ્રિક પછી આ દબદબો કઈ રીતે ઊભો થાય એ વિશે વિચારવું જોઈએ. ભારતે પોતાનું પ્રભુત્વ ઊભું કરવા માટે બોલિંગના વિકલ્પો વિશે વધારે ધ્યાન આપવું જોઈએ. ભારત પાસે સ્ફોટક બેટ્સમેનની કમી નથી પણ બોલિંગમાં ભારતના વિકલ્પો હજુય મર્યાદિત છે. તેમાં પણ પેસ બોલિંગમાં તો ભારત હજુય જસપ્રિત બૂમરાહના મેજિક પર જ નિર્ભર છે. ન્યુઝીલેન્ડ સામેની ફાઈનલની જીતમાં બૂમરાહના મેજિક સ્પેલનો ફાળો બહુ મોટો હતો. બૂમરાહ અત્યારે 32 વર્ષનો છે એ જોતાં આવતા વરસે વન ડે ઈન્ટરનેશનલના વર્લ્ડ કપમાં રમશે ને હવે પછીના ટી-20 વર્લ્ડ કપમાં પણ કદાચ રમી નાંખે પણ તેનાથી વધારે ખેંચે એવી શક્યતા નથી.
મોહમ્મદ સિરાજ સારો બોલર છે, પણ સિરાજ પણ 31 વર્ષનો છે તેથી એ પણ બે-ચાર વર્ષમાં નિવૃત્ત થશે એ જોતાં અર્શદીપસિંહ સિવાય ભારત પાસે બીજો કોઈ સારો પેસર જ નથી. ક્રિકેટમાં સૌને હીરો બેટ્સમેન લાગે છે કેમ કે બેટ્સમેન ચોગ્ગા-છગ્ગા ફટકારીને સૌનું મનોરંજન કરે છે પણ મેચ તો બોલરો જ જીતાડે છે ને તેમાં સૌથી મહત્વનો રોલ પેસરનો હોય છે કેમ કે બોલિંગની શરૂૂઆત કરનાર બેટ્સમેનને હાવી ના થવા દે તો વિરોધી ટીમ દબાણમાં આવી જતી હોય છે. બૂમરાહ, સિરાજ ને અર્શદીપે છેલ્લાં ચાર-પાંચ વર્ષમાં આ કામગીરી અસરકારક રીતે નિભાવી છે પણ હવે તેમનાથી આગળ વિચારવાનો સમય આવી ગયો છે.
