બાંગ્લાદેશમાં સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે એક હિન્દુ યુવાનની હત્યાની ઘટના સામે આવતાં રાજકીય અને સામાજિક સ્તરે ચિંતા વધતી જોવા મળી રહી છે. મૌલવી બજાર જિલ્લાના ચંપારા વિસ્તારના ચાના બગીચામાં 28 વર્ષીય રતન સાહુકારનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં તણાવ ફેલાયો છે. મળતી માહિતી મુજબ રતન સાહુકાર રોજની જેમ કામ પર ગયો હતો.
તે ચાના બગીચામાં મજૂરી કામ કરતો હતો. પરંતુ બુધવારે સવારે તેના સાથીદારોને બગીચામાં તેનો મૃતદેહ પડેલો જોવા મળ્યો. રતનના હાથ અને પગ દોરડાથી બાંધેલા હતા. તેના શરીર પર ઊંડા ઘા હતા અને લોહીથી લથપથ હાલતમાં તે મળ્યો હતો. પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગી રહ્યું છે કે તેને પહેલા બંધક બનાવવામાં આવ્યો અને પછી તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી.
રતનના પરિવારજનો અને સાથીદારોનું કહેવું છે કે આ પૂર્વયોજિત હત્યા હોઈ શકે છે. તેઓએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ઘટના ચૂંટણીના એક દિવસ પહેલા બની હોવાથી લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયગાળા દરમિયાન સુરક્ષા વધુ કડક હોવી જોઈએ, પરંતુ આવી ઘટના સુરક્ષા વ્યવસ્થાને લઈને પ્રશ્નો ઉભા કરે છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મૃતકના શરીર પર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તેના શરીર પર પડેલા ઊંડા ઘા તેની ક્રૂર હત્યાની સાક્ષી આપે છે. સ્થળ પરથી મળેલા પ્રાથમિક પુરાવાના આધારે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.
