જામનગરમાં રિક્ષાચાલકને માથામાં ધુંબા મારી મોત નિપજાવનારની જામીન અરજી રદ

જામનગરમાં ડિસેમ્બર માસમાં ડીકેવી કોલેજ સર્કલ પાસે એક રીક્ષા ચાલક ઉપર હુમલો કરીને માથામાં ધુંબા માર્યા બાદ હેમરેજથી રીક્ષા ચાલકનું મોત થયાના બનાવમાં પોલીસે એક…

જામનગરમાં ડિસેમ્બર માસમાં ડીકેવી કોલેજ સર્કલ પાસે એક રીક્ષા ચાલક ઉપર હુમલો કરીને માથામાં ધુંબા માર્યા બાદ હેમરેજથી રીક્ષા ચાલકનું મોત થયાના બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ જેલમાં મોકલી આપ્યો છે. જે આરોપી બાઈક ચાલક દ્વારા સેસન્સ અદાલત સમક્ષ મુકેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.

આ કેસની વિગતો એવી છે કે જામનગરમાં ગત તા.16મી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ઈબ્રાહિમભાઈ માકોડા ડીકેવી કોલેજ પાસે તેની રીક્ષામાંથી પેસેન્જર ઉતારતા હતા, ત્યારે મોટર સાયકલમાં આવેલા અજાણ્યા બે શખસોએ તેઓને ગાળો આપીને માથાના ભાગે ધુંબા માર્યા હતા.

તેથી ઈબ્રાહિમભાઈને માથામાં દુ:ખાવો થતાં તેઓએ ઘરે આવીને પત્નીને વાત કરી હતી, અને ઉલ્ટીઓ થવા લાગતાં તેઓને 108 મારફ્ત જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને હેમરેજ થયાનું જણાવ્યું હતું. બાદમાં તેઓને ત્યાંથી રાજકોટની સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને સારવારમાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.

આથી મૃતકના પત્ની નફીસાબેનની ફરિયાદ ઉપરથી સિટી બી. ડિવિઝન પોલીસે મારકુટ અને બીએનએસ કલમ 105 મુજબ બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.જે કેસમાં પોલીસે જામનગરના બાઇક ચાલક જીજ્ઞેશ નવીનચંદ્ર સેલારકાની ધરપકડ કરી હતી, અને અદાલત સમક્ષ રજૂ કરતા તેને જેલમાં મોકલી દેવાનો હુકમ થયો હતો, જેથી તે જેલ હવાલે થયો હતો.

દરમીયાન જેલમાં રહેલા આરોપીએ પ્રથમ દ્રષ્ટીએ કોઈ અપરાધ થતો નથી, અને પોતાને ખોટી રીતે સંડોવી દેવાયાની રજુઆત સાથે જામીન અરજી કરી હતી. આ અરજીના વિરોધમાં સરકારી વકીલ રાજેશભાઈ વશીયરએ કોર્ટને જણાવ્યું હતું કે, ગંભીર પ્રકારનો ગુનો છે, અને મૃતક માથામાં હેમરેજની ઈજાના કારણે મૃત્યુ પામ્યા છે.

આરોપીની સ્પષ્ટપણે ગુનામાં ભુમિકા હોવાનું જણાઇ આવે છે. આવા ગંભીર ગુનામાં જામીન મુક્તિ આપી શકાય નહીં. અદાલતે બંને પક્ષોને સાંભળીને આરોપીની જામીન અરજી રદ કરતો આદેશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *