શહેરના કાલાવડ રોડ પર આવેલા કણકોટ ગામે અલખઘણી આશ્રમમાં ગૌસેવા કરતા વૃધ્ધે આશ્રમમાં જ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે. આ અંગે પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ કણકોટ ગામે કૃષ્ણનગરમાં આવેલા અલખઘણી આશ્રમમાં રહેતા રણછોડભાઇ ગોરધનભાઇ મોરડીયા (ઉ.વ.67)નામના વૃધ્ધે આજે સવારે ગૌશાળામાં નિરણના ગોડાઉનમાં લોખંડના એંગલ સાથે દોરડુ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશ ચાવડા, રાઇટર શિવરાજસિંહ સહિતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધના પરિવારજનો રાજકોટમાં 80 ફૂટ રોડ પર ગ્રીનસિટીમાં રહે છે. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. વૃધ્ધ છેલ્લા ચારેક વર્ષથી કણકોટ ગામે આશ્રમમાં રહી ગાયોની સેવા કરતા હતા. જોકે તેમણે આ પગલું શા માટે ભરી લીધુ તે અંગે પરિવારજનો પણ અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
ખીજડિયા ગામે કૂવામાં કામ કરતી વેળાએ પડી જતા શ્રમિકનું મોત
રાજકોટ તાલુકાના ખીજડીયા ગામે કૂવામાં કામ કરતી વેળાએ અકસ્માતે પડી જતા શ્રમિક યુવાનનું મોત નિપજ્યુ હતું.જાણવા મળતી વિગત મુજબ મુળ રાજેસ્થાનનો વતની અને હાલ રાજકોટ તાલુકાના ખીજડીયા ગામે રહેતો કુશાલસિંહ બલદેવસિંહ ભાટી (ઉ.વ.40)નામનો યુવાન ગઇકાલે સાંજે પાંચ વાગ્યાના અરસામાં ખીજડીયા ગામે કૂવામાં કામ કરતો હતો ત્યારે અકસ્માતે કૂવામાં પડી જતા તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા રોડ પોલીસને જાણ કરતા હેડકોન્સ્ટેબલ એલ.એસ.મહાજને હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
