સોમનાથના આંગણે 4 દિવસના ‘સ્વાભિમાન પર્વ’નો મંગલ પ્રારંભ

3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતા દર્શાવતો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે 108 અશ્ર્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન, 2500 ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર અને…

3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતા દર્શાવતો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે

108 અશ્ર્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રાનું આયોજન, 2500 ઋષિ કુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ

1000 કલાકારો કરશે શંખનાદ, 10મીએ સાંજે વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો

ભારતીય સંસ્કૃતિના રાષ્ટ્રીય સ્વાભિમાન અને અજેય આસ્થાના પ્રતીક સમાન પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે તા. 08 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી સુધી “સોમનાથ સ્વાભિમાન પર્વ”ની ભવ્ય ઉજવણીનો પ્રારંભ થયો છે. આ મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સોમનાથના એક હજાર વર્ષના સંઘર્ષ, બલિદાન અને પુન:નિર્માણની અપ્રતિમ ગાથાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.
આ પર્વમાં જોડાવા માટે રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી છે. જેના ભાગરૂૂપે આજે રાજકોટથી વિશેષ ટ્રેન સોમનાથ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. ’હર હર ભોલે’ અને ’જય સોમનાથ’ના ગગનભેદી નાદથી સમગ્ર સ્ટેશન પરિસર ગૂંજી ઉઠ્યું હતું.

સોમનાથનો ઇતિહાસ એ વિનાશ સામે સર્જનના વિજયની કથા છે. 1026માં મહમદ ગઝનવીના આક્રમણથી લઈને સદીઓ સુધી વિદેશી આક્રમણખોરોએ આસ્થાના આ કેન્દ્રને ખંડિત કરવા પ્રયાસો કર્યા, પરંતુ દરેક વખતે ભારતવર્ષના વીરોએ પોતાના રક્તથી આ ધરતીનું રક્ષણ કર્યું છે. આ પર્વ દ્વારા હમીરજી ગોહિલ અને વેગડાજી ભીલ જેવા અગણિત શહીદોના બલિદાનને અંજલિ આપવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓ માટે આ માત્ર દર્શન નથી, પણ પૂર્વજોના સંઘર્ષની સ્મૃતિ પણ છે.

ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આજથી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે.

આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. વડાપ્રધાન તા. 11 જાન્યુઆરીના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.

વધુમાં, સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2,500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ 1,000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરાથી સ્પેશિયલ ટ્રેનો દોડાવાઇ
સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. મંત્રીએ તમામ નાગરિકોને આ ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

વડાપ્રધાન તા.10મીથી બે દિવસની મુલાકાતે, રાત્રીરોકાણ પણ કરશે

એક લાખ લોકો બેસી શકે તેવા ભવ્ય સદ્ભાવના ગ્રાઉન્ડમાં ડોમ બનાવવાની તડામાર તૈયારીઓ

યાત્રાધામ સોમનાથ ખાતે 10 અને 11ના આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હમીરજી સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી 108 અશ્વ સાથે શૌર્યયાત્રા નિકળશે, જેમાં વડાપ્રધાન પણ જોડાશે. ત્યાંથી સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચીને જાહેર સભા સંબોધશે. ઝેડ પ્લસ સુરક્ષાને કારણે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે સોમનાથમાં તા.10મીએ બપોરબાદ 5,30 કલાકે વડાપ્રધાનનું આગમન થશે અને રાત્રી રોકાણ કરશે.

બાદમાં તા. 11મીએ સવારે સોમનાથ મહાદેવની પૂજા કરશે અને વીર હમીરજી ગોહીલ સર્કલથી 108 અશ્વ અને ઢોલ-નગારા સાથે શોર્યયાત્રા નિકળશે. વડાપ્રધાનનો સદભાવના ગ્રાઉન્ડમા સભાનું આયોજન કરવામાં આવેલ છે ત્યાં ખુબજ વિશાળ ડોમ બનાવવાની કામગીરી 24 કલાક ચાલે છે અને એક લાખ લોકો બેસી શકે તેવો ભવ્ય ડોમ તૈયાર થય રહેલ છે.

વડાપ્રધાનને આગમને કારણે સદભાવના ગ્રાઉન્ડ અને આજુબાજુના રસ્તાના રીપેરીંગ ની કામગીરી થય રહેલ છે. સોમનાથ મંદિર તરફ જતો શંખ સર્કલ પાસે વિશાળ ગેડ બનાવવા આવી રહેલ છે. આમ વડાપ્રધાનના આગમનને પગલે સોમનાથમાં ભવ્ય તૈયારીઓ થય રહેલ છે. ઝેડ પ્લસ સુરક્ષાને લઈને સોમનાથ સરકીટ હાઉસ, સાગર દર્શન, સહિતના ગેસ્ટ હાઉસો રીઝર્વ રાખવામાં આવ્યા છે. આ સાથે હાલ વેરાવળ-સોમનાથમાં રસ્તા, લાઈટ સહિતની કામગીરીનો ધમધમાટ ચાલુ કરી દેવાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *