જામનગર રોડ પર આવેલા નાગેશ્વર પાસે શાંતિનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી વૃધ્ધએ માધાપર ચોકડી નજીક એબીડી હોટલ પાસે કોઇ કારણસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં સારવાર દરમિયાન વૃધ્ધનું મોત થયું હતું. વૃધ્ધે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે જાણી શકાયું ન હોય વૃધ્ધના આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના જામનગર રોડ પર નાગેશ્વર પાસે શાંતિનગર શેરી નં.3 માં રહેતા હરસુખભાઇ પ્રભુદાસભાઇ વિઠ્ઠલાણી(ઉ.વ. 71) નામના વૃધ્ધે ગઇકાલે સાંજે પોણા છ વાગ્યા આસપાસ બાઇક લઇ પોતાની ટ્રાન્સપોર્ટની ઓફિસથી ઘરે જતા હતા ત્યારે બેડી ચોકડી પાસે માધાપર ચોકડી હાઇવે પર એબીડી હોટલ નજીક કોઇ કારણોસર ઝેરી દવા પી લીધી હતી. બાદમાં તેમને સારવાર માટે સિનર્જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. અહીં સારવાર દરમિયાન ગઇકાલે 7:20 કલાકે ફજર પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ ડી.જે.જોષીએ અહીં હોસ્પિટલ પહોંચી જરૂૂરી કાર્યવાહી કરી વૃધ્ધના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી જરૂૂરી કાર્યવાહી કરી હતી. વૃધ્ધે કયાં કારણસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય પોલીસે વૃધ્ધના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
