સુરેન્દ્રનગરથી વડોદરા જતાં પરિવારની કારને હાઈવે ઉપર આંતરી રોકડ, મોબાઈલ અને કાર લૂંટી બે શખ્સો ફરાર
રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર લુંટારૂ ત્રાટકયા હતાં. સુરેન્દ્રનગરથી વડોદરા જતાં દંપતિની કારને બગોદરા પાસે આંતરી બે શખ્સોએ હુમલો કરી કાર તેમજ મોબાઈલ અને રોકડ લુંટી ફરાર થઈ ગયા હતાં. ઈજાગ્રસ્ત દંપતિને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતાં. આ લુંટની ઘટના બાદ પોલીસે હાઈવે ઉપર નાકાબંધી કરી લુંટારૂઓને પકડવા તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, વડોદરાથી સુરેન્દ્રનગર સ્થિત પોતાના વતન જઈ રહેલા જય પરમાર અને તેમના પત્ની જ્યારે બગોદરાથી માત્ર 2 કિલોમીટર દૂર હતા, ત્યારે આ લૂંટનો બનાવ બન્યો હતો. હાઈવે પર અચાનક ત્રાટકેલા બે અજાણ્યા શખસોએ દંપતીને આંતર્યું હતું અને હુમલો કર્યો હતો. લૂંટારૂૂઓએ ભોગ બનનાર જય પરમારને માર મારીને તેમની કાર, બે મોબાઈલ ફોન 8 હજાર રૂૂપિયા રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત જય પરમારને તાત્કાલિક બગોદરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે બગોદરા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.
હાઈવે પર લૂંટની આ ગંભીર ઘટનાની જાણ થતા જ પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. DYSP આસ્થા રાણા, અમદાવાદ ગ્રામ્ય LCB અને બગોદરા પોલીસનો કાફલો તાત્કાલિક પોલીસ મથકે દોડી આવ્યો હતા.
ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે લૂંટારૂૂઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. હાઈવે પરના સીસીટીવી ફૂટેજ તપાસવાની સાથે નાકાબંધી પણ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે લૂંટારૂૂઓ ચોરીની કાર લઈને જ કોઈ ચોક્કસ દિશામાં ભાગ્યા હોઈ શકે છે.
