સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂૂ મુદ્દે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા ચાલી રહ્યા છે, જેના પગલે સુરેન્દ્રનગર પોલીસની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. આ પરિસ્થિતિમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે. જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. તેમજ એલસીબીનું પણ વિસર્જન કરી નાખ્યુ છે.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂૂના અડ્ડાઓ પર મોટી કાર્યવાહી બાદ આ પગલુ ભરાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગણતરીના દિવસોમાં ત્રણ અલગ-અલગ સ્થળોએ સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. જેમાં નાની મોલડી ખાતે ન્યૂ નાગરાજ હોટલ પાછળથી રૂૂ.2.13 કરોડની કિંમતનો મોટાપાયે વિદેશી દારૂૂ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉપરાંત ઝાંખણ ગામની સીમમાં ભગીરથસિંહ નામના વ્યક્તિના ખેતરમાંથી રૂૂ.63.57 લાખનો દારૂૂ સાથેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જ્યારે ચોટીલા ખાતે બળદેવ હોટલના પાર્કિંગમાંથી રૂૂ.87.65 લાખની કિંમતનો વિદેશી દારૂૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિક પોલીસ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચની કામગીરી પર પણ પ્રશ્નો ઊભા થયા હતા.
અંતે આજે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ જે.જે. જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમની સામે કાર્યવાહી શરૂૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરાયેલા સતત દરોડાઓ બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસમાં નજીકના સમયમાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફમાં ટૂંક સમયમાં નોંધપાત્ર બદલાવ થવાના એંધાણ મળી રહ્યા છે. હાલ પીઆઇ જે.જે. જાડેજાની સસ્પેન્શન બાદ, લોકલ ક્રાઈમ બ્રાન્ચના અન્ય પોલીસ કર્મચારીઓના ટ્રાન્સફર અથવા બદલી થવાની પણ સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત કાર્યવાહી ચાલી રહી છે, જ્યારે સુરેન્દ્રનગર એસપી દ્વારા પણ પોલીસની કામગીરી અંગે અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
