નિગમે તમામ ડેપો મેનેજરને પત્ર પાઠવી મુસાફરોને જાણ કરવા કહ્યું
એસ.ટી. બસમાં મુસાફરી કરતા સમયે મોબાઇલ ફોનમાં મોટા અવાજે વાતો ન કરવા અને ફોનને સાઇલન્ટ મોડ પર રાખવા મુસાફરોને તાકીદ કરવા ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તમામ વિભાગીય નિયામકને પરિપત્ર પાઠવી જાણ કરાઇ છે.
પત્રમાં જણાવાયું છે કે નિગમ દ્વારા રાજ્યની પ્રજાને સામાજિક સેવાના ભાગરૂૂપે દૈનિક 37000 થી વધુ ટ્રીપો સંચાલિત કરી 27.00 લાખ મુસાફરોને લાંબા અને ટૂંકા અંતરની પરિવહન સેવાનો લાભ નિગમની વિવિધ પ્રકારની બસ સર્વિસો થકી મુસાફરલક્ષી અભિગમ દાખવી આપવામાં આવી રહેલ છે.આમ નિગમ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચાડવા શાંત, સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડવા કટિબદ્ધ છે. નિગમની બસોમાં લાંબા અંતરની મુસાફરી દરમિયાન કેટલાક મુસાફરો દ્વારા ઉંચા અવાજે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી બસોમાં અન્ય મુસાફરી કરતા મુસાફરોને અડચણ અને ખલેલ પહોંચે છે.
જેથી બસોમાં મુસાફરો વચ્ચે ઝઘડા કે મતભેદ થવાની શક્યતા રહે છે. આ સંજોગોમાં મુસાફરો માટે શાંતિપૂર્ણ મુસાફરીના વાતાવરણને જાળવી રાખવા માટે આપના વિભાગ ખાતેથી સંચાલન થતી બસ સર્વિસોમાં ફરજ બજાવતા કંડકટર મારફત બસમાં હાજર મુસાફરોને સૂચનાઓથી અવગત કરવા આપની કક્ષાએથી તાબા હેઠળના ડેપો મેનેજરશ્રીઓને જાણ કરવા જણાવવામાં આવે છે. વધુમાં આ સૂચનાઓનું પાલન થાય તે માટે જરૂૂરી ઘટતી કાર્યવાહી કરવા જણાવવામાં આવે જેમાં મોબાઇલ ફોન ઉપયોગ દરમિયાન કૃપા કરીને હેડફોન વાપરવામાં અને તમારા ફોનને સાઇલન્ટ મોડ પર રાખવા જણાવાયું છે.
