જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના કાતડા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહેતા શ્રમિક પરિવારની 16 વર્ષની તરુણીએ રસોઈ બાબતેનો માતાનો ઠપકો સહન નહીં થતાં ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદ ના વતની અને હાલ ધ્રોળ તાલુકાના કાતડા ગામના ખેડૂત પરસોતમભાઈ અકબરીની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુક્રમભાઈ લીમજીભાઈ ગણાવાની પુત્રી ઉષાબેન (ઉંમર વર્ષ 16) કે જેણે ગઈકાલે પોતાના ઘેર જંતુનાશક દવા પી લેતાં તેણીને સૌપ્રથમ પડધરીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી.
ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવાતાં તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવ અંગે મૃતક ના પિતા શુક્રમભાઈ લીમજીભાઇ ગણાવાએ પોલીસને જાણ કરતાં ધ્રોળના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા, અને ઉષાબેનના મૃતદેહ નો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી છે. મૃતક ને તેની માતાએ રસોઈ બનાવવા બાબતે ઠપકો આપતાં માઠું લાગી આવવાથી તેણીએ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
