શહેરમાં રૂખડીયાપરા વિસ્તારમાં પરિણિત પ્રેમીકા સાથે ઝઘડો કર્યા બાદ મિત્રની લાઈટ રિપેરીંગ કરવા વીજ થાંભલા પર ચડેલા યુવકને વીજશોક લાગ્યો હતો. બાદમાં સવારે પ્રેમિએ ઝઘડો કર્યા અંગે માઠુ લાગતાં પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. યુવકને પરિણીતાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, નાનામવા સર્કલ પાસે આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં જાહિદ રમઝાનભાઈ મકવાણા નામનો 28 વર્ષનો યુવાન રાત્રીનાં 2 વાગ્યાના અરસામાં રૂખડીયાપરામાં રહેતાં તેના મિત્રના ઘરે ગયો હતો. ત્યારે લાઈટ જતી રહેતા જાહિદ મકવાણા વીજપોલ પર લાઈટ રીપેરીંગ કરવા ચડયો હતો.
તે દરમિયાન વીજ શોક લાગતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે રૂખડીયાપરામાં જ રહેતી ઝરીનાબેન હારૂનભાઈ મજબુલ નામની 40 વર્ષની પરિણીતા સવારના દસેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે ફિનાઈલ પી લીધું હતું. ઝરીનાબેન મકબુલને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પ્રાથમિક પુછપરછમાં જાહીદ મકવાણા અને ઝરીનાબેન મજબુલ વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ હાલ બન્ને વચ્ચે અણબનાવ બનતા જાહીદ મકવાણા મધરાત્રે બારેક વાગ્યાના અરસામાં ઝરીનાબેનના ઘરે ધસી ગયો હતો અને ‘તું મારી સાથે ફોનમાં કેમ વાત કરતી નથી’ તેમ કહી પોતાની જાતે પેટ્રોલ છાંટી લીધું હતું. જાહીદ મકવાણા બઘડાટી બોલાવી ત્યાંથી નાસી છુટયો હતો અને બાદમાં વીજશોક લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પ્ર.નગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
