દિવાળીના આ પાવન પર્વમાં ઠેર ઠેર રોશનીનો જગમગાટ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના બે સુપ્રસિદ્ધ યાત્રાધામો સોમનાથ અને દ્વારકામાં પણ રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે. સોમનાથ મહાદેવના મંદિરને રંગબેરંગી રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ સહસ્ત્ર દિવડાથી ઝળહળી ઉઠ્યા હતાં. મંદિરની આજુબાજુની ટ્રસ્ટની ઓફિસો અને અતિથિગૃહોને પણ રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે દ્વારકા દરિયા કાંઠે બિરાજમાન દ્વારકાધીશ જગતમંદિરને પણ કળાત્મક રોશનીથી શણગારવામાં આવ્યું છે. તેમજ મંદિરની આજુબાજુ રંગબેરંગી ડેકોરેટીવ લાઈટની સીરીઝ તથા દિવડાથી ઝગમગતુ નિહાળી શકાય છે. દિવાળીના તહેવારને લઈને સોમનાથ અને દ્વારકામાં દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા હતાં અને આ રોશની નિહાળી ભાવવિભોર થયા હતાં.
