શહેરમાં સુભાષનગરમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી આસામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં સુભાષનગર વિસ્તારમાં આવેલ સોનલ એપાર્ટમેન્ટમાં રહેતી અને સ્પામાં નોકરી કરતી પૂર્ણિમાબેન મહંતો નામની 34 વર્ષની આસામી યુવતી પોતાના ઘરે હતી ત્યારે કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીના મોત અંગે આસામ રહેતા પરિવારને જાણ કરવામાં આવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઉપરાંત અન્ય બનાવમાં શહેરમાં જુદા જુદા ત્રણ સ્થળે બે આધેડ અને એક વૃદ્ધનું બીમારી સબબ મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા રસિકભાઈ રામજીભાઈ ખાંભલીયા નામના 54 વર્ષના આધેડનું કેન્સરની બીમારી મોત નીપજ્યું હતું જ્યારે મવડી મેઇન રોડ ઉપર આવેલી વિનાયકનગરમાં રહેતા જગદીશભાઈ દેવાભાઈ સોનારા નામના 55 વર્ષના આધેડે શ્વાસની બીમારી સબબ દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે ત્રીજા બનાવમાં વાવડી વિસ્તારમાં રહેતા વિષ્ણુભારથી જીવનભારથી નામના 65 વર્ષના વૃદ્ધને બીમારી સબબ પરિવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી જતો રહ્યો હતો. બાદ વૃદ્ધનું મોત નીપજ્યું હતું ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
