FRCનું કોંગ્રેસે બેસણું કર્યું, સમિતિના હાડપિંજના ફોટાને અર્પી શ્રધ્ધાંજલિ

નકલી ચલણી નોટોનો હાર પહેરાવી રામધૂન બોલાવી, છ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી, વિરોધ પ્રદર્શન કરી નિમણૂંક કરવા માંગ, તાળાબંધીની ચિમકી રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન…

નકલી ચલણી નોટોનો હાર પહેરાવી રામધૂન બોલાવી, છ મહિનાથી ચેરમેનની જગ્યા ખાલી, વિરોધ પ્રદર્શન કરી નિમણૂંક કરવા માંગ, તાળાબંધીની ચિમકી

રાજકોટમાં સૌરાષ્ટ્ર ઝોનની ફી નિયમન સમિતિ આવેલી છે. જેમાં રાજકોટ ઉપરાંત જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને બોટાદ એમ 11 જિલ્લાની 5000થી વધુ ખાનગી શાળાઓની ફી નક્કી થાય છે. હાલ ચેરમેનની જગ્યા છેલ્લા 5 મહીનાથી ખાલી છે. જેના કારણે સૌરાષ્ટ્રની 650 સ્કૂલોની ફી વધારા માટે નિર્ણય અટકેલો હોવાનું સામે આવ્યું છે જેની સીધી અસર સૌરાષ્ટ્રના 2 લાખ કરતા વધુ વાલીઓ પર જોવા મળી રહી છે. 31 જાન્યુઆરી 2025ના રોજ પી.જે.અગ્રાવત દ્વારા ચેરમેન પદ પરથી રાજીનામું આપ્યા બાદ હજુ સુધી નવા ચેરમેનની નિમણૂક કરવામાં આવી નથી. આ મામલે આજે કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

જેમાં FRCકમિટીનું બેસણું કરવામાં આવ્યું હતું અને ફી નયમન સમિતિના હાડપિંજર સમક્ષ અગરબત્તી કરી તેને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. સામાન્ય રીતે શ્રદ્ધાસુમન પુષ્પો અર્પીને કરવામા આવતો હોય છે પરંતુ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખોટી ચલણી નોટો અર્પીને શ્રદ્ધાંજલિ અર્પી અનોખો વિરોધ કરવામા આવ્યો હતો.આ વિરોધનો હેતુ છે કે સરકાર આ સમસ્યાને ગંભીરતાથી લઇ તાત્કાલિક નવા ચેરમેનની નિયુક્તિ કરે અને વાલીઓ અને વિદ્યાર્થીઓના હિતને પ્રાથમિકતા આપે તે છે.

સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા અને રાજકોટના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે દુર્ભાગ્યપૂર્ણ કહેવાય કર રાજકોટ ઝોનના જે ચેરમેન( નિવૃત જજ) હતા તેમણે ફેબ્રુઆરી 2025માં કોઈ કારણોસર રાજીનામું આપી દીધું હતું.જેથી આ ખાનગી શાળાઓ માટે સોનાનો સમય સાબિત થયો છે. ઘણા શાળાઓ પોતાના મનમાની ફી ઉઘરાવે છે અને વાલીઓની ફરિયાદને કોઇ સાંભળતું નથી. સ્કૂલો ખોટા ખર્ચા બતાવીને અને કેટલાક ચાર્ટેડ એકાઉન્ટન્ટના સહયોગથી ખોટા ખર્ચાઓ દર્શાવીને પોતાની મનગમતી ફી મંજૂર કરાવી લે છે.કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે રાજ્યસરકારનો શિક્ષણવિભાગ જાણીજોઈને ખાનગી શાળાઓને ખટાવવા માટે જ ચેરમેનની નિમણૂક કરતી નથી જેથી સ્કૂલો પોતાની મનમાની મુજબ ફીના ઉઘરાણા કરી શકે.

સરકારના શિક્ષણ વિભાગને અનેક રજૂઆતો છતાં હજુ ચેરમેનની નિયુક્તિ અંગે કોઈ નિર્ણય લીધો નથી જે ખુબજ શરમજનક છે. સરકાર આ મામલે જાણતું ને જાણવું નથી એવું વલણ અપનાવી રહી છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે FRCએવી બિનઅસરકારક ખોખલી સંસ્થા બની ગઈ છે.

કોંગ્રેસે આક્ષેપો કર્યા હતા કે FRCજેવી સંસ્થાઓ ખાનગી શાળાઓને કાયદાકીય કવચ પુરતી રહી ગઈ છે એટલે કે વાલીઓમાં લૂંટવા માટે સરકારી લાઇસન્સ છે પરંતુ સરકારે જે વખત નિયમ બહાર પાડ્યો તે બાબતોની જમીન પર વાસ્તવમાં તેની અસર નાનામાં નાની પણ નથી.તેઓએ વધુ આક્ષેપો કર્યા હતા કે આ કચેરી ભ્રષ્ટાચારનુ કેન્દ્ર છે અને પૈસાના જોરે સંચાલકો મનમા વિચારે તેટલી ફી મંજુર કરાવી લે છે. સરકાર તાત્કાલિકપણે આ FRCના ચેરમેનની નિયુક્તિ કરીને આ વાલીઓને રાહત થાય તે દિશામા કામગીરીના નિર્દેશ જાહેર કરે અને શિક્ષણમાફીઓ પર લગામ લાવે આ કાર્યક્રમમા કોંગ્રેસ વિદ્યાર્થીઓ પ્રતિનિધિ રોહિતસિંહ રાજપુત,રણજીત મુંધવા,મયુર શાહ,યશ ભિંડોરા,જીત સોની,પ્રશીલ રાજદેવ,રોનક રવૈયા સહિત જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *