જેતપુર તાલુકાનાં નવાગઢ ગામે રહેતી પરીણીતાની પ્રેમમા પડયા બાદ સુડી વચ્ચે સોપારી જેવી હાલત ઉભી થઇ છે જેમા 10 વર્ષનાં લગ્ન જીવન દરમ્યાન પ્રેમમા પડેલી પરીણીતાએ પરીવારની ચિંતામા પ્રેમ સબંધ ટુકાવી નાખ્યા બાદ રાજકોટ રેસકોર્ષ ગાર્ડનમા આવી ફીનાઇલ ગટગટાવી લીધુ હતુ. પરીણીતાને ઝેરી અસર થતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ જેતપુરનાં નવાગઢ ગામે રહેતી 29 વર્ષની પરણીતા ગઇકાલે રાજકોટમા આવેલા રેસકોર્ષ ગાર્ડનમા હતી ત્યારે બપોરનાં ચારેક વાગ્યાનાં અરસામા ફીનાઇલ પી લીધુ હતુ. પરણીતાને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવી હતી. આ અંગે સિવીલ હોસ્પીટલ ચોકીનાં સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરતા પ્રનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સિવીલ હોસ્પીટલ ખાતે દોડી ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા આપઘાતનો પ્રયાસ કરનાર પરણીતાનાં 10 વર્ષ પહેલા લગ્ન થયા છે અને તેમને સંતાનમા 1 પુત્ર અને 1 પુત્રી છે. પરણીતાને લગ્ન જીવન દરમ્યાન પ્રેમ પાંગર્યો હતો. પરંતુ પ્રેમસબંધનાં કારણે લગ્ન જીવન તુટશે તેવી પરીવારની ચિંતામા પ્રેમસબંધ ટુકાવી લીધો હતો. પરંતુ સબંધ ટુંકાવી લીધા બાદ પ્રેમી બદનામ કરશે તેવી દહેશતે ફીનાઇલ પી લીધુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે પ્રનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
