લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા રમેશભાઈ અકબરી પોતાના મામા રામજીભાઈ વસોયા સાથે પોતાની જી જે 15 સી.એમ. 3813 નંબરની કારમાં બેસીને જામનગર આવી રહ્યા હતા. જે દરમિયાન સવારે સાડા નવ વાગ્યાના અરસામાં રણજીત સાગર રોડ પર પહોંચતાં એકાએક કારના આગળના ભાગે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેથી મામા-ભાણેજ બંને કારમાંથી તુરત જ નીચે ઉતરી ગયા હતા, અને જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને જાણ કરી હતી.
ફાયરની ટુકડી પહોંચે તે પહેલાં આગે મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું અને કાર સંપૂર્ણ પણે ભડકે બળી હતી. જેથી કાર ની અંદર રહેલા કારના કાગળો વગેરે બળીને ખાખ થયા હતા. ફાયરે પાણીનો મારો ચલાવી આગને બુજાવી દીધી હતી. જોકે આ બનાવમાં મામા ભાણેજ બહાર નીકળી જતાં તેઓનો બચાવ થયો હતો, અને કોઈ જાનહાની થઈ નથી. પરંતુ કાર ટોટલ લોસ થવા પામી છે.
