વર્ષોથી ખડકાયેલા દબાણો અંગે સરકારનું પૂછાણ આવતા ચંડોળા તળાવ જેવું ડિમોલિશન થવાની ચર્ચા
ગુજરાતમાં ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશના ભાગરૂપે અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મોટુ ડિમોલિશન હાથ ધરાયા બાદ હવે સરકારે રાજકોટ તરફ નજર દોડાવી છે અને રાજકોટની આજી નદી આસપાસ વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો અંગે શું કાર્યવાહી કરી તેનો રિપોર્ટ મહાનગરપાલિકા પાસેથી માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
આધારભુત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજકોટ કોર્પોરેશન પાસેથી આજી નદી આસપાસના દબાણો અંગે પુછાણ કરવામાં આવ્યું છે.
આજીનદી આસપાસ થયેલા ગેરકાયદે દબાણો હટાવવા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 925 જેટલા દબાણકારોને નોટીસો આપવામાં આવી હતી. પરંતુ ત્યાર બાદ કોઈ કાર્યવાહી થઈ નથી.
ગત વર્ષે વડોદરામાં વિશ્ર્વામિત્રી નદીમાં આવેલા પુરના કારણે ભારે તારાજી સર્જાઈ હતી અને આ તારાજી ગેરકાયદેસર દબાણોના કારણે સર્જાઈ હોવાથી સરકાર ઉપર માછલા ધોવાયા હતા ત્યારે રાજકોટમાં આજીનદી આસપાસ થયેલા દબાણો અંગે સરકારમાંથી પુછાણ આવતા રાજકોટમાં પણ અમદાવાદવાળી થાય તેવી શક્યતા છે.
કોર્પોરેશન દ્વારા થોડા સમય પહેલા આજી નદી અને તેની આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દબાણો અંગે સર્વે કરાયો હતો.જેમાં 1200થી વધુ દબાણો હોવાનું સામે આવ્યું હતું. દબાણ દૂર કરવા માટે નોટિસ પણ આપી દેવામાં આવી હતી. પરંતુ કોઇ કારણોસર ડિમોલીશનની કામગીરી કરવામાં આવી ન હતી.
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ રાજ્ય સરકારે દબાણકર્તાઓ સામે આકરી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂૂપે રાજકોટમાં પણ આજી નદી અને તેની આસપાસના તમામ વિસ્તારોને દબાણમુક્ત કરવા મેગા ડિમોલીશન હાથ ધરવાનો નિર્ણય લઇ લીધો છે. ટૂંક સમયમાં બુલડોઝરની ધણધણાટી બોલાવવામાં આવશે.
