નાગરિકોને તમામ માહિતી માંગવાના અને જાણવાના અધિકારી સ્વરૂપે માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈ કરવામાં આવી છે. જે અંતર્ગત માંગવામાં આવતી માહિતી અમુક ખાસ કિસ્સામાં આપવામાં આવી નથી પણ હુકમો જે તે વ્યક્તિ પુરતા મર્યાદિત હોવા છતાંય આવા હુકમોનું અયોગ્ય અર્થઘટન કરી અન્ય નાગરિકોને માહિતી નહી આપવા બાબતે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા સ્પષ્ટતા અને ચેતવણી આપતી યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે.
યાદીમાં જણાવાયું છે કે, આયોગ દ્વારા (1)વિવાદી ખુશાલ વર્મા (અપીલ નં. અ-3992-2024, હુકમ તા. 2-01-2025). (2) વિવાદી શ્રી નાનજીભાઈ કાળુભાઈ જીતિયા (અપીલ નં. અ- 2178-2024 અને અ-2739-2024, હુકમ તા.01-02-2025) અને (3) શ્રી હર્ષ દિનેશકુમાર બ્રહ્મભટ્ટ (અપીલ નં. અ-6167-2023 અને અન્ય, હુકમ તા.06-02-2025)થી સંબંધિત વિવાદીને હુકમમાં દર્શાવેલ હકીકતોને ધ્યાને લઈ, જે-તે વિવાદી(અરજદાર) પૂરતા ચોક્કસ પ્રકારના હુકમો(મર્યાદિત સંખ્યાની અરજી કરવાની મંજૂરી આપવા માટેના) કરવામાં આવેલ છે. ઉક્ત હુકમો માત્ર સંબંધિત વિવાદી (અરજદાર)ને જ લાગુ પડે છે.
આયોગના ધ્યાને આવેલ છે કે, પ્રથમ અપીલ અધિકારી અને ભૂસ્તર શાસ્ત્રી ભૂસ્તરશાસ્ત્રીની કચેરી, ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતુ. પોરબંદરના પત્ર ક્રમાંક નં… આર.ટી.આઇ/અપીલ/1055, તા. /02/2025થી અરજદાર જીવાભાઈ ભુરાભાઈ મોઢવાડિયા. જી. પોરબંદર દ્વારા કરવામાં આવેલ પ્રથમ અપીલ સંદર્ભે આયોગના અપીલ નં. અ-6169-2023ના હુકમ તા.06-02-2025નો સંદર્ભ ટાંકી. આયોગના હુકમનો અભ્યાસ કર્યા સિવાય. પ્રથમ અપીલ દફતરે કરવામાં આવેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.
અન્ય એક કિસ્સામાં આયોગના ધ્યાને આવેલ છે કે, જાહેર માહિતી અધિકારી અને હિસાબી અધિકારીની કચેરી, અંબાજી મંદિર. અંબાજીના પત્ર ક્રમાંક નં. અમ/હસબ/મા.અ./વશી,તા.13-03 -2025થી અરજદાર અમિત કુમાર વી પટેલ, દાંતા જી. બનાસકાંઠા દ્વારા કરવામાં આવેલ તા. 21-02-2025 અને તા. 22-02-2025ની નમૂના-“ક-ની અરજીઓ અંગે માહિતી આયોગના અપીલ નં. અ-6167-2023 અને અન્ય. તા.06-02-2025 ના હુકમનો સંદર્ભ ટાંકી, અરજદારની ઉક્ત તા.21-02-2025 અને તા.22-02-2025ની નમૂના ક”ની અરજીઓ જાહેર માહિતી અધિકારી દ્વારા દફતરે કરવામાં આવેલ છે. જે ખૂબ જ ગંભીર બાબત છે.
ઉક્ત વિગતે રાજ્યના તમામ નાગરિક, તમામ જાહેર સત્તા મંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે કે. આયોગના ઉક્ત અને આ પ્રકારના હુકમો સંબંધિત અરજદારને જ લાગુ પડે છે. આ હુકમો સીધે-સીધા અન્ય અરજદારોને લાગુ પડતા નથી કે રાજ્યના અન્ય કોઇ જાહેર માહિતી અધિકારી કે પ્રથમ અપીલ અધિકારીને અન્ય અરજદારોના કેસમાં લાગુ કરવાની સત્તા આપતા નથી.
ઉકત હુકમો માત્ર સંબંધિત અરજદારને લાગુ પડતા હોવાથી, આ હુકમો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કે અપીલ કરનાર અન્ય નાગરિક/અરજદારને લાગુ પાડવાના રહેતા નથી. આથી, આવા ચોક્કસ હુકમોને સંબંધિત ન હોય તેવા કોઈપણ નાગરિક/અરજદારની અરજી અથવા પ્રથમ અપીલનો નિર્ણય માહિતી અધિકાર અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવા તમામ જાહેર સત્તામંડળના જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓને જણાવવામાં આવે છે. આ અંગે હવે પછી કોઈ અયોગ્ય કે મનઘડંત અર્થઘટન કરવામાં આવેલ હોવાનું જણાશે તો સંબંધિત અધિકારી વિરુદ્ધ શિસ્ત વિષયક સહિતની અન્ય તમામ કાર્યવાહી કરવાની આયોગને ફરજ પડશે, તેની નોંધ લેવા સર્વ સંબંધિતોને જણાવવામાં આવે છે.
