નખત્રાણા નજીક જંગલમાં બંદૂકના ભડાકે 25 કુંજ પક્ષીનો શિકાર થતા ખળભળાટ

નખત્રાણા તાલુકાના છારીઢંઢના રક્ષિત જંગલ વિસ્તારમાં બંદૂકના ભડાકે 25 કુંજ પક્ષીનો શિકાર કરાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે દિલધડક રીતે શિકારીઓનો પીછો કરતા…

નખત્રાણા તાલુકાના છારીઢંઢના રક્ષિત જંગલ વિસ્તારમાં બંદૂકના ભડાકે 25 કુંજ પક્ષીનો શિકાર કરાયો હોવાની ઘટના સામે આવી છે જેમાં પોલીસે દિલધડક રીતે શિકારીઓનો પીછો કરતા તેઓ ભાગ્યા અને એ દરમ્યાન ગાડી પલ્ટી મારી ગઈ હતી જોકે તેઓ બાવળોની ઝાડીમાંથી ભાગી જવામાં સફળ રહ્યા હતા.

મળતી વિગતો મુજબ, છારીઢંઢ વિસ્તારમાં અમુક ઈસમો વન્ય પક્ષી કુંજનો હથિયાર વડે શિકાર કરવા સફેદ કલરની બોલેરોથી આવ્યા છે અને શિકારની પ્રવૃત્તિ ચાલુમાં હોવાની સચોટ બાતમી આધારે નિરોણા પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસ રણ વિસ્તારમાં પહોંચે તેવામાં બંદૂકના ફાયરનો ધડાકો સંભળાયો જેથી પોલીસ તાત્કાલિક એ દિશામાં પહોંચી અને પોલીસની ગાડી આવતી જોઈ બોલેરો ચાલક પોતાનું વાહન લઈ સ્પીડમાં ભાગ્યો હતો. રણ વિસ્તારમાં પીછો કરતા બોલેરોના ચાલકે ગાડી છછલા તરફ ભગાડી હતી.જેમાં છછલા ગામથી આશરે બે કિમી આગળ વોકળા પાસે બોલેરો ચાલક ગાડી ઉતારવા ગયો ત્યાં મોટો ખાડો આવી જતા બોલેરો પલટી મારી ગઈ અને તેમાંથી ત્રણ જણા બાવળની ઝાડીમાં ભાગી ગયા હતા જેથી પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે પીછો કર્યો પણ આરોપીઓ ભાગી ગયા હતા.

બોલેરોમાં પાછળના ઠાઠાના ભાગે બે મોટા કોથળા હતા અને લોહી નિતરતું હતું તપાસ કરતા કુંજ પક્ષીના 25 મૃતદેહ મળી આવ્યા હતા. આ ઉપરાંત દેશી બંદુક સાથે 24 કાર્તિજ, છરી, કુહાડી કબ્જે કરવામાં આવી હતી.બોલેરો નંબર જીજે 12 બીડબલ્યુ 9012 કબ્જે કરવામાં આવી છે. આ દિલધડક કામગીરીમાં નિરોણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ એ.એમ.મકવાણા,એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ સોલંકી, નિલેશકુમાર ચૌધરી, કોન્સ્ટેબલ નિકુલકુમાર રાજપૂત, વજાભાઇ ગમાર જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *